પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 લાખ પેજ સમિતિને સંબોધીને પત્ર લખ્યો છે. ચૂંટણી પહેલા લોકોની કામગીરીને પ્રધાનમંત્રીએ બિરદાવી છે.
PM મોદીએ 15 લાખ પેજ સમિતિને સંબોધીને લખ્યો પત્ર
આગામી 21 અને 28 ફેબ્રુઆરીએ યોજાવાની છે ચૂંટણી
ચૂંટણી પહેલા લોકોની કામગીરીને પ્રધાનમંત્રીએ બિરદાવી
ગુજરાતમાં આગામી 21 અને 28 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. જેમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાશે. ત્યારે આ ચૂંટણીને લઇને ભાજપ ઉત્સાહમાં છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખથી લઇને ધારાસભ્યો, મંત્રીઓ અને કાર્યકર્તાઓ સમગ્ર રાજ્યમાં પ્રચારમાં લાગી ગયા છે. આ ચૂંટણીના પ્રચાર વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ ભાજપના પ્રેજ પ્રમુખોને એક મહત્વનો પત્ર લખ્યો છે. જેને લઇને રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ચૂંટણી પહેલા લોકોની કામગીરીને પ્રધાનમંત્રીએ બિરદાવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પેજ પ્રમુખોને પત્રઃ આ પત્રમાં પેજ પ્રમુખોને સંબોધીને પીએમ મોદીએ લખ્યું કે, "પેજ પ્રમુખ એ આપણા પક્ષના પરંપરાગત લોકસંપર્ક અભિયાનનું જ નવતર સ્વરૂપ છે. ચૂંટણી એ જન-ગણના મન સુધી પહોંચવાનું નિમિત્ત માત્ર છે. જેના દ્વારા ઘર ઘરના સભ્યોને, પરિવારોને ભારતીય જનતા પક્ષ સાથે જોડાવાનો અવસર પ્રાપ્ત થાય છે. પેજ કમિટી પ્રણાલી એ એકસૂત્ર માળા જેવી છે. જેમાં મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, પ્રદેશ પ્રમુખ, વરિષ્ઠ કાર્યકરો, યુવાઓ, મહિલાઓ, ખેડૂતો, વેપારીઓથી માંડી છેવાડાના શ્રમિક સુધીના તમામ વર્ગના સભ્યો જનસંપર્કમાં સરખા ભાગીદાર બને છે અને પક્ષમાં એક બૃહદ પરિવારની ભાવના સુદ્રઢ થાય છે. લોકોની સમસ્યા અને પ્રશ્નોને સમજવા લોકો વચ્ચે જવું અને વિવિધ પ્રશ્નો તેમજ સમસ્યાઓના ઉકેલ માટે રજૂઆત કરવાની પ્રક્રિયા આ કડી મજબૂત બનાવે છે અને વિકાસગાથાના નવા નવા પ્રકરણો ઉમેરી શકાય છે. 15 લાખ પેજ સમિતિ દ્વારા 2.25 કરોડ મતદારો સુધી પહોંચવાનું એક ભગીરથ કાર્ય એક એક ટીપાથી સમુદ્ર ભરવા જેવું ધીરજ માંગી લે એવું અભિયાન છે.
લોકશાહીનો ધબકાર મતદાર હોય છે. પેજ કમિટી-મહાજન સંપર્ક અભિયાન મતદારને મતદાન કરવા માટે પ્રોત્સાહન આપનારું છે અને આ રીતે લોકશાહીના મૂલ્યોને સુદ્રઢ કરવામાં મહત્વનો ફાળો આપશે. લોકોની આકાંક્ષા અને અપેક્ષાઓને સમજવી અને એના પર ખરા ઉતરવું એ કર્મનિષ્ઠ અને સંવેદનશીલ કાર્યકરની નૈતિક ફરજ બને છે.
ગુજરાત અને ભારતીય જનતા પક્ષનો આરંભથી જ અતૂટ નાતો રહ્યો છે. ગુજરાતની જનતા જનાર્દને ભારતીય જનતા પાર્ટી પર સદૈવ માતૃત્વવત નિઃશ્વાર્થ સ્નેહ વરસાવ્યો છે. ગુજરાત મક્કમ, ભાજપ અડીખમ સૂત્ર જ નહીં ભાજપ ગુજરાતના સંબંધની હૃદયની છબિ છે. મને ખારતી છે કે, પરસ્પર વિશ્વાસની આ ગંગા નિરંતર વહેતી રહશે. મહાભારતમાં અર્જુનને જેમ માત્ર પક્ષીની આંખ દેખાતી હતી એમ આપણા માટે છેવાડાના માણસના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે એવું લક્ષ્ય હોવું જોઈએ.
મહાનગર પાલિકા-પંચાયતી રાજની ચૂંટણીમાં પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહેલા તમામ ઉમેદવારો અને કાર્યકરોને લોકશાહીના આ પાવન પર્વની નિમિત્તે શુભકામના. સંકલ્પબદ્ધ સમાજ અને રાષ્ટ્ર નિર્માણની મશાલ સાથે સૌ ન્યૂ ઈન્ડિયાની યાત્રામાં સહભાગી થઈએ.
પુનઃ સૌ કાર્યકર મિત્રોનું અભિવાદન કરું છું અને ઝળહળતી સફળતા માટે શુભેચ્છા પાઠવું છું. ભારત માતાકી જય"
પેજ પ્રમુખની કામગીરી શું?
ગુજરાતમાં ભાજપના સંગઠનમાં પ્રથમ વખત પેજ-પ્રમુખોની નિમણૂંક કરાઇ છે. જે તે વિસ્તારની મતદારયાદી એટલે કે ચૂંટણીપંચ દ્વારા બહાર પાડેલી મહત્વની યાદીના એક એક પેજ પર પ્રમુખોની નિમણૂંક કરવામાં આવે છે. જેની શરૂઆત ભાજપે કરી હતી. ઉલ્લેખનીય છે કે આ એક પેજમાં 30 મતદાતાઓના નામ હોય છે. આ 30 મતદાતા સાથે પેજ પ્રમુખ સીધો સંપર્ક કરી શકે છે. જેથી ચૂંટણી આવે ત્યારે લાખો પેજ પ્રમુખો મતદાતા સાથે સંપર્કમાં હોય છે. મતદાતા સાથે સાથે તેઓ તેમના આગેવાનના પણ સંપર્કમાં હોય છે. આવી રીતે મત મેળવવાનો અને મતદારોને રિઝવવાનો સીધો પ્રયાસ પેજપ્રમુખો કરતા હોય છે.