કચ્છમાં આવેલો વિનાશક ભૂકંપ તો સૌ કોઈને યાદ હશે ત્યારે ભૂકંપગ્રસ્તોની યાદમાં ભુજમાં વડાપ્રધાન મોદીનો ડ્રિમ પ્રોજેકટ સ્મૃતિવન આકાર લઈ રહ્યો છે જેમાં પ્રથમ ફેઝનું કામ પૂર્ણ થવા સાથે બીજા ફેઝમાં અડધી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે 200થી 300 એકરમાં ભુજિયા તળેટીમાં આકાર લઈ રહેલુ સ્મૃતિવન કચ્છ નહીં પણ ગુજરાત માટે પણ એક આગવું પર્યટન સ્થળ બની રહેશે. ત્યારે જોઈએ આ અહેવાલ.
ભૂકંપનો માર ઝીલી ચૂકેલું કચ્છ સરકારની જહેમત અને ખમીરવંતા કચ્છીઓની મહેતનથી એવું તો ઊભું થઈ રહ્યું છે કે, સમગ્ર વિશ્વ આજ તેની પ્રશંસા કરી રહ્યું છે. ખાનગી અને સરકારી ભાગીદારીથી અનેક પ્રોજેક્ટ રાખમાંથી બેઠા થઈ ચૂક્યાં છે. બીજા પૂર્ણ થવાની તૈયારીમાં છે. ભુજનાં ભુજિયા ડુંગરની તળેટીમાં આકાર લઈ રહેલા સ્મૃતિવનમાં પ્રથમ ફેઝમાં 52 ચેકડેમ, પાથ વે અને સનસેટ પોઇન્ટની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે બીજા ફેઝમાં મ્યુઝિયમનું નિર્માણ થઈ રહ્યું છે જેનું 40 ટકા કામ પૂર્ણ થયું છે.
અહીં આકાર પામી રહેલું મ્યુઝિયમ આગવી વિશિષ્ટતા ધરાવે છે. લોકોને સ્વંયભૂ ભૂકંપની અનુભૂતિ થાય તે પ્રકારે આ મ્યુઝિયમ નિર્માણ પામી રહ્યું છે. આ ઉપરાંત ચેકડેમોની ફરતે ધરતીકંપના મૃતકોની નામાવલિ લગાવવામાં આવશે. ભૂકંપમાં મોતને ભેટેલા કચ્છનાં લોકોના નામ અને ગામ સાથેની યાદી 52 ચેકડેમ પર લગાવશે જેથી તેમની યાદ સ્મૃતિમાં જળવાઈ રહે આ ઉપરાંત સોલાર પાવર પ્લાન્ટ લગાવાયો છે જેનાથી સમગ્ર સ્મૃતિવનમાં લાઈટનો ઝગમગાટ જોવા મળશે.
સ્મૃતિવન પ્રોજેકટ વડાપ્રધાન મોદીનો ડ્રિમ પ્રોજેકટ હોય મુખ્યમંત્રી રૂપાણી પણ સતત નજર રાખી રહ્યાં છે. ભુજિયા ડુંગરની તળેટીમાં પ્રોજેકટ ચાલતો હોય ફરતે ગ્રીલ અને પાર્કિંગ વ્યવસ્થા, રોડ રસ્તા સાથે ડુંગરની ઐતિહાસિકતા અને કિલ્લાનો ઇતિહાસ જાળવવા સમારકામ અને રીનોવેશન પણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સ્મૃતિવન હરિયાળું બનાવવા માટે સંસ્થાઓ દ્વારા 35 હજાર વૃક્ષો સાથે કુલ 85 હજાર વૃક્ષોનું 200થી 300 એકરમાં વાવેતર થશે જેનાં માટેની કામગીરી શરૂ થઈ ચૂકી છે. ઝાડનાં ઉછેર માટે પાણીની સુવિધા ઊભી કરાશે આ માટે પાણી પુરવઠા બોર્ડ તરફથી વહીવટી મંજૂરી પણ મળી ગઈ છે.
સમગ્ર પ્રોજેકટની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરાઈ રહી છે. દર મહિને જિલ્લા કલેક્ટર પ્રોજેકટની રીવ્યુ બેઠક લઈ રહ્યાં છે સાથે મુખ્યમંત્રી પણ જાતે સમીક્ષા કરી રહ્યાં છે. સમગ્ર પ્રોજેક્ટ જ્યારે પૂર્ણ થશે ત્યારે ગુજરાતમાં એક નવા પ્રવાસન સ્થળનો ઉમેરો થશે.