પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા સામાન્ય બજેટ 2020 પહેલા બુધવારે દિલ્હીમાં અર્થશાસ્ત્રીઓ, અલગ-અલગ ક્ષેત્રોના એક્સપર્ટ્સ અને સફળ યુવા ઉદ્યોગપતિઓ સાથે વિચાર-વિમર્શ કર્યો. આ સાથે જ તેમણે 5000 અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાની દિશામાં સાથે મળીને પ્રયાસ કરવાનું કહ્યું.
પીએમ મોદીએ કહ્યું ભારતીય અર્થવ્યવસ્થાનું ફંડામેન્ટલ મજબૂત છે. દેશ જલ્દીથી આર્થિક ગ્રોથના પાટા પર પાછો આવી જશે. એક્સપર્ટ્સના સૂચનોના વખાણ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ નીતિ નિર્માતાઓ અને વિભિન્ન હિતકારકોની વચ્ચે તાલમેલ વધારવાનો પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે બેઠક ઘણાં કલાકો સુધી ચાલુ રહી હતી.
નાણાંકીય વર્ષ 2020-21ના સામાન્ય બજેટ પહેલાં આયોજિત આ બેઠક દરમ્યાન નિષ્ણાતોએ આર્થિક વૃદ્ધિને ગતિ આપવા માટે સૂચનો આપ્યાં. ચાલુ નાણાંકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિ દર ઘટીને છેલ્લાં 11 વર્ષના નીચલા સ્તર પાંચ ટકા પર રહી જવાનું અનુમાન છે.
એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રીએ કહ્યું છે કે દેશને 5000 અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનો વિચાર કંઈ અચાનક જ નથી આવ્યો. આ દેશની તાકાતની ઊંડી સમજ પર આધારિત છે.
તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાના ઉતાર-ચઢાવ સહન કરવાની તાકાત અર્થવ્યવસ્થાના પાયાના મજબૂત પરિબળો અને પાછી પાટા પર પરત ફરવાની ક્ષમતાને દર્શાવે છે.
નિવેદન પ્રમાણે મોદીએ કહ્યું કે પર્યટન, શહેરી વિકાસ, પાયાના ઢાંચા અને કૃષિ આધારિત ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં અર્થવ્યવસ્થાને આગળ લઈ જવા અને રોજગાર સર્જન કરવાની ક્ષમતા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અસીમિત સંભાવનાઓની ધરતી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે તમામ હિતધારકોએ હકીકત અને વિચારની વચ્ચેના અંતરને ખતમ કરવા માટે કામ કરવાનું છે.