મોદી સરકાર હવે ખેડૂતો માટે ૧૫ ઓગસ્ટથી પેન્શન સ્કીમ શરૂ કરવા જઇ રહી છે. આ સ્કીમના ડ્રાફ્ટને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. નાણાં મંત્રાલય સાથે કૃષિ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ આ કાર્યને અંજામ આપી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વડા પ્રધાન મોદી ૧૫ ઓગસ્ટથી કિસાન પેન્શન સ્કીમની શરૂઆત કરશે. કૃષિ સચિવે રાજ્યોને પત્ર લખીને આ સ્કીમ લાગુ કરવા મિકેનિઝમ તૈયાર કરવા સૂચના આપી છે. આ યોજના હેઠળ એલઆઇસી કિસાનોના પેન્શન ફંડનું મેનેજમેન્ટ કરશે. આ પેન્શન સ્કીમ હેઠળ ખેડૂતોને ૬૦ વર્ષ થયા બાદ પેન્શન તરીકે રૂ. ૩,૦૦૦ આપવાની જોગવાઇ કરવામાં આવી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી સરકારના પ્રધાનમંડળની પ્રથમ બેઠકમાં ખેડૂતો માટે એક અલગ પેન્શન યોજનાને મંજૂરી અપાઇ છે. તેનો હેતુ 3 વર્ષમાં 5 કરોડ લાભાર્થીઓને આ યોજનાના દાયરામાં લાવવાનો છે. તેનાથી સરકારી તિજોરી પર વાર્ષિક રૂ. ૧૦,૭૭૪ કરોડનો બોજ પડશે.
નવી યોજના અંગે રાજ્યમાં કૃષિ મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચા દરમિયાન કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શક્ય હોય એટલી જલદી આ પેન્શન યોજના લાગુ કરવા જણાવાયું છે.
પ્રધાનમંત્રી કિસાન પેન્શન યોજના હેઠળ લાભાર્થી યોજનામાં જોડાય ત્યારે તેની સરેરાશ ઉંમર ૨૯ વર્ષની હોય તો તેણે દર મહિને રૂ. ૧૦૦નો ફાળો આપવો પડશે. આનો અર્થ એ થયો કે જો લાભાર્થીની ઉંમર ૨૯ વર્ષથી ઓછી હોય તો તેને ફાળાની રકમમાં ઘટાડો થશે. કેન્દ્ર સરકાર પણ સામે એટલો જ ફાળો આપશે. કિસાન પેન્શન યોજના માટે ૧૮થી ૪૦ વર્ષ સુધીના ખેડૂતો અરજી કરી શકશે.