અરવલ્લી: સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી હતી. ટેકાના ભાવે ખરીદી કર્યા બાદ ખેડૂતોને અત્યાર સુધીમાં રકમ ચુકવવામા આવી નથી. સરકાર દ્વારા ખેડૂતોના 8 કરોડ જેટલા રૂપિયા ચુકવવામા આવ્યા નથી.
મહત્વનુ છે કે ખેડૂતોને ચણાનો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારે 880 રૂપિયા ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 18 એપ્રિલથી ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી. સરકારે 22 હજાર 737 ક્વિન્ટલ ચણાની ખરીદી કરી હતી.
જેમાથી સરકારને 9 કરોડ 65 લાખ રૂપિયા ચૂકવવાના હતા. 3 મહિના થયા બાદ પણ સરકાર દ્વારા માત્ર 256 ખેડૂતોને રૂપિયા ચૂકવવામાં આવ્યા. જ્યારે હજુ પણ 1198 ખેડૂતોના 8 કરોડથી વધુ નાણા ચૂકવવાના બાકી હોવાથી ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
માલ ખરીદી કર્યા બાદ સરકાર નાણા આપવાનું ભૂલી ગઈ હોય તેમ હજુ સુધી ચુકવણું ના કરાતા ખેડૂતોમાં રોષ ઉભો થયો છે. ખેડૂતોને ચણાની ખરીદીના નાણા સત્વરે ચુકવવામાં આવે તે માટે ખેડુંત સમાજ ધ્વારા રજૂઆત કરવામાં આવશે.
પરંતુ હવે ઉપજના નાણા મેળવવા વલખા મારવાનો વારો આવ્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી સરકાર દ્વારા ખેડૂતોને નાણા ન ચુકવાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોને ખેતી માટે બિયારણ ખાતર દવાઓ માટે હાલ નાણાની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. ત્યારે આવા સમયે પણ પોતાના નાણા ન મળતા ઉગ્ર રજૂઆત કરી રોષ ઠાલવ્યો હતો.