પંત હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. આ કારણે તેના માટે IPL-2023માં રમવું અશક્ય લાગી રહ્યું છે એવામાં દિલ્હી કેપિટલ્સ ટીમ હવે IPL-2023 માં નવા કેપ્ટનની શોધમાં છે
રિષભ પંતની કારકિર્દીને લઈને પ્રશ્નાર્થ ચિહ્ન
હાલ પંત માટે IPL-2023માં રમવું અશક્ય લાગી રહ્યું છે
દિલ્હી કેપિટલ્સ હવે કેપ્ટનની શોધમાં
ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટના બાદ મર્સિડીઝ કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટના શુક્રવારે (30 ડિસેમ્બર) વહેલી સવારે રૂરકીના ગુરુકુલ નરસન વિસ્તારમાં બની હતી. સવારે 5:15 વાગ્યે તેમની મર્સિડીઝ બેન્ઝ કાર નરસન બોર્ડર પર રોડની રેલિંગ સાથે અથડાઈ હતી અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટક્કર એટલી મોટી હતી કે કાર હવામાં ઉછળીને થોડે દૂર જઈને પડી હતી અને આ અકસ્માત પછી તરત જ કારમાં આગ લાગી હતી.
રિષભ પંતની કારકિર્દીને લઈને પ્રશ્નાર્થ ચિહ્ન
આ સમાચાર આવતાની સાથે જ ક્રિકેટ જગતમાં હંગામો મચી ગયો હતો અને આ ઘટનાને કારણે ક્રિકેટ જગતમાં દરેક લોકો ચિંતિત છે અને દરેક લોકો રિષભ પંતના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. રિષભ પંતની હજુ પણ સારવાર ચાલી રહી છે એવામાં આ બધા વચ્ચે લોકોને હવે રિષભ પંતની કારકિર્દીને લઈને પણ ચિંતા સતાવી રહી છે. ઋષભ પંત ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ સીરિઝ પછી આરામ આપવામાં આવ્યો હતો, શ્રીલંકા સીરિઝ માટે પસંદગી કરવામાં ન આવતા તેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા અને એ સમયે એમનું એક્સિડન્ટ થયું હતું. પંતે અત્યાર સુધી 33 ટેસ્ટ મેચમાં પાંચ સદી અને 11 અર્ધશતક લગાવી હતી અને કુલ 2,271 રન બનાવ્યા હતા. પંતે 30 વન ડે અને 66 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી છે.
દિલ્હી કેપિટલ્સ હવે કેપ્ટનની શોધમાં છે
પંત હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. આ કારણે તેના માટે IPL-2023માં રમવું અશક્ય લાગી રહ્યું છે એવામાં IPLમાં પોતાના પ્રથમ ટાઇટલ જીતવાની કોશિશ કરતી દિલ્હી કેપિટલ્સ ટીમ હવે આગામી સિઝન (IPL-2023)માં નવા કેપ્ટન સાથે પ્રવેશ કરશે. જણાવી દઈએ કે પંત ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યો હતો પણ અકસ્માતને કારણે તેના માટે સિઝનમાં રમવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં દિલ્હીની ટીમ કેપ્ટનની શોધમાં છે.
ડેવિડ વોર્નરને સોંપવામાં આવી શકે છે કેપ્ટનશિપની કમાન
હાલ રિષભ પંતની સ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે તેઓ આઈપીએલ નહીં રમે અને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નરને IPL-2023માં દિલ્હી કેપિટલ્સ ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. જણાવી દઈએ કે ડેવિડ વોર્નરને પણ કેપ્ટનશિપનો અનુભવ છે અને તેને પોતાની કપ્તાનીમાં સનરાઈઝર્સ હૈદરાબાદને આઈપીએલમાં ચેમ્પિયન પણ બનાવ્યું છે. બોલ ટેમ્પરિંગમાં તેની ભૂમિકાને કારણે વોર્નર પર 2018માં આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
પૃથ્વી શો પણ છે દાવેદાર
જો વોર્નરને નહીં તો મુંબઈના યુવા બેટ્સમેન પૃથ્વી શૉને પણ આ જવાબદારી સોંપવામાં આવી શકે છે. પૃથ્વી શૉને અંડર-19 ક્રિકેટમાં કેપ્ટનશિપનો અનુભવ છે. તે સ્થાનિક ક્રિકેટમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કરે છે અને હાલમાં રણજી ટ્રોફીમાં રમી રહ્યો છે. તે છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે.