નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈમરાન ખાન બાદ હવે તેમના કેબિનેટના મંત્રીઓએ પણ શપથ લઈ લીધા છે. ત્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રી તરીકે જવાબદારી સંભાળતાં જ પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ પાર્ટીના ઉપાધ્યક્ષ શાહ મહમૂદ કુરૈશીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુદ્દે મોટો દાવો કર્યો છે. સાથે જ ઈશારો ઈશારોમાં ભારતને ખોખલી ધમકી પણ આપી.
કુરૈશીએ દાવો કર્યો કે PM નરેન્દ્ર મોદીએ પત્ર લખીને ઈમરાન ખાનને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. શાંતિ અને સ્થાયિત્વની વાત કરતાં કુરૈશીએ કહ્યું કે અમે માત્ર પાડોશી દેશ જ નહીં પરંતુ પરમાણુ શક્તિ પણ ધરાવીએ છીએ.
મહત્વનું છે કે પીએમ મોદીએ ઈમરાન ખાનને પીએમ બનવા બદલ શુભેચ્છા પાઠવતો પત્ર મોકલ્યો હતો. જે બાદ પાકિસ્તાની વિદેશ મંત્રી કુરૈશીએ આ પ્રકારનો દાવો કર્યો છે. જો કે ભારત સરકારે આવું કોઇ પણ આમંત્રણના દાવાનું ખંડન કર્યું છે.