પાટીદાર સમાજ માટે અનામતની માગ લઈ નીકળેલો અને તથા ક્યારેય રાજકારણમાં નહીં આવવાનું કહેનારો હાર્દિક પટેલ કોંગ્રેસમાં સામેલ થયો છે. સમાજના મુદ્દા ભૂલી હાર્દિકે આખરે પોતાનો રાજકીય રોટલો શેકી લીધો છે.
કોંગ્રેસની CWCની બેઠક દરમિયાન હાર્દિકે કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરી લીધી. પાટીદાર નેતા બાદ હાર્દિક કોંગ્રેસી નેતા બની ગયો. લોકસભા ચૂંટણી દરમિયાન તેમણે અનેક સભાઓ ગજવી તો ક્યાંક હાર્દિકે લોકોના રોષનો ભોગ પણ બનવું પડ્યું.
હાર્દિક પટેલે પાટીદાર સમાજ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયો
લોકસભા ચૂંટણીના થોડા સમય પહેલા જ પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ કોંગ્રેસનો નેતા બની જ ગયો. CWC બેઠક દરમિયાન કોંગ્રેસમાં વિધિવત રીતે સામેલ થયો. આમ હાર્દિક પટેલે પાટીદાર સમાજ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાઈ જતાં સમાજના બદલે તેણે આ લોકસભા ચૂંટણીમાં 6 કરોડ ગુજરાતીઓના નામે રાજકારણ કર્યું. તો હાર્દિકે જ્યારે કોંગ્રેસની સદસ્યા ગ્રહણ કરી ત્યારે તેણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે 3 વર્ષ પહેલા સમાજ, યુવાન અને ખેડૂતોના હિત માટે લડાઈ શરૂ કરી હતી. હવે ગુજરાતના 6 કરોડ લોકોની સેવા કરવા માટે કોંગ્રેસમાં જોડાયો છું. રાહુલ ગાંધીના વખાણ કરતા હાર્દિકે કહ્યું હતું કે રાહુલ ગાંધી તાનાશાહીની રાજનીતિમાં નથી માનતા. કોંગ્રેસ સાથે મળીને દેશને વધુ મજબુત બનાવીશું.
હાર્દિકે કોંગ્રેસને જીતાડવા માટે કમરતોડ મહેનત કરી
તો હાર્દિકના કોંગ્રેસમાં સામિલ થવા પર પાટીદાર સમાજમાં તેનો વિરોધ જોવા મળ્યો હતો. અનેક લોકોએ હાર્દિકના આ નિર્ણયની ખોટો ઠેરવ્યો હતો. અનામત આંદોલન સમયે હાર્દિક સાથે એક જ મંચ પર જોવા મળતા SPG અધ્યક્ષ લાલજી પટેલે હાર્દિક પર આકરા પ્રહાર કર્યા હતા. તો કોંગ્રેસમાં સામેલ થયા બાદ હાર્દિકે કોંગ્રેસને જીતાડવા માટે કમરતોડ મહેનત કરી હતી. કોંગ્રેસે પણ હાર્દિકનો પુરેપુરો ઉપયોગ કરવા માટે તેને હેલિકોપ્ટર ફાળવ્યું હતુ.
હેલિકોપ્ટરના સહારે વધુમાં વધુ સભા તેની પાસે કરાવી. કોંગ્રેસને હાર્દિક પાસેથી આશા હતી કે સવર્ણ મતબેંકમાં ગાબડુ પાડી તેને કોંગ્રેસ તરફી કરવામાં હાર્દિક મોટો રોલ ભજવશે. તો હાર્દિકને કારણે ક્યાંક પાટીદારોમાં વિરોધ પણ જોવા મળ્યો હતો. એવા પણ સુત્રો લાગ્યા કે હાર્દિકે સમાજ સાથે દગો કર્યો. તો સુરેન્દ્રનગરની સભા દરમિયાન હાર્દિકે લાફો ખાવાનો પણ વારો આવ્યો હતો. આ સાથે નિકોલમાં હાર્દિકની સભામાં પાટીદારોએ જ હોબાળો કર્યો હતો અને ખુરશીઓ ફેંકી હતી.
પાસના કન્વીનરોનું ભાજપ-કોંગ્રેસમાં વિલિનિકરણ
બીજી તરફ હાર્દિક એકલો એવો આંદોલનકારી નથી કે જે રાજકારણમાં આવ્યો છે. પાટીદાર સમાજને અનામત અપાવવા માટે નીકળેલા અનેક પાટીદાર આંદોલનકારીઓ નેતા બની ગયા. પાટીદારો સાથે વિદ્રોહ કરી પાસના કન્વીનરોનું ભાજપ-કોંગ્રેસમાં વિલિનિકરણ થઈ ગયું છે. રાજકારણમાં નહીં આવવાનું કહેનારા હાર્દિક પટેલે મોટા ઉપાડે કોંગ્રેસનો ખેસ પહેરી લીધો હતો. પરંતુ હાર્દિક સિવાયના પણ પાસના નેતાઓએ રાજકારણમાં એન્ટ્રી મારી દીધી હતી. અમે સમાજ માટે છીએ અને સમાજનાં જ રહીશું કહેનારા આંદોલનકારી પાટીદાર નેતાઓ સમય આવ્યે રાજકીય પાર્ટીઓમાં સામેલ થઈ ગયા. સરકારને બે ફામ ગાળો આપનારા પાસની મુળ કોર કમિટીના સભ્યોમાં 4 ભાજપમાં અને ત્રણ કોંગ્રેસમાં જોડાઈ ગયા. પાસના નેતાઓ હવે પાટીદાર સમાજને પગથિયા બનાવી હવે પોતાના અંગત સ્વાર્થ ખાતર રાજકીય કેરિયર બનાવવા નીકળી ગયા. તેમાં કેટલાક સફળ થયા તો કેટલાક હજુ આંટાફેરા મારે છે.
આંદોલનકારી નેતાઓ બની ગયા
તો પાસના કયા નેતાઓ રાજકીય રંગે રંગાઈ ગયા અને કઈ પાર્ટીમાં સામેલ થઈ ગયા. તેને જોઈએ તો હાર્દિક પટેલ કોંગ્રેસ, વરૂણ પટેલ ભાજપ, લલિત વસોયા કોંગ્રેસ, કિરીટ પટેલ કોંગ્રેસ, ચિરાગ પટેલ ભાજપ, અમરીશ પટેલ ભાજપ, કેતન પટેલ ભાજપ, અતુલ પટેલ કોંગ્રેસ અને રેશ્મા પટેલ NCPમાં જોડાયા. જો કે રેશ્મા પહેલા ભાજપમાં સામેલ થયા હતા. પરંતુ ભાજપમાં જ રહીને તેઓ ભાજપનો વિરોધ કરતા હતા. આખરે થોડા સમય બાદ તેમણે NCPમાં જોડાવાનો નિર્ણય લઈ લીધો. રેશ્મા હાલ માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં NCPના ઉમેદવાર પણ છે.
પાર્ટીને કેટલો ફાયદો
હાર્દિકે અને રેશ્માએ લોકસભા ચૂંટણી લડવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે હાર્દિકની ઈચ્છા પર કોર્ટે પાણી ફેરવી દીધું. જ્યારે રેશ્માને સફળતા મળી પરંતુ લોકસભા ચૂંટણી લડવા ન મળી. પરંતુ વિધાનસભામાં NCPના ઉમેદવાર ચોક્કસ બન્યા. તમામ પાટીદાર આંદોલનકારીઓના નિર્ણયો પરથી એટલું ચોક્કસ કહેવું રહ્યું કે બધા પાટીદાર આંદોલનકારીઓ હવે સમાજના હિત માટે નહીં પણ પોતાના હિત માટે જ કામ કરતા હતા. તેઓ આંદોલનકારી નહીં પણ નેતાઓ બની ગયા. પહેલા જે સમાજના હતા તે હવે રાજકીય પાર્ટીઓના હાથા બની ગયા. પરંતુ જોવું રહ્યું કે રાજકીય પાર્ટીના હાથ બનેલા આ આંદોલનકારી નેતાઓ તેમની પાર્ટીને કેટલો ફાયદો કરાવી શકે છે. સાથે પોતે કેટલા ફાયદામાં રહ્યા.