એક બાજુ રાજ્યમાં પાણીની તંગી છે જ્યારે બીજી બાજુ પાણીનો બગાડ થઇ રહ્યો છે. ગુજરાતમાં પાણી બગાડનો મોટો કેસ સામે આવ્યો છે. સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે નર્મદાનું પાણી વેડફાઈ રહ્યું છે. રિવરફ્રન્ટમાં લીલ દૂર કરવા માટે રિવરફ્રન્ટનું પાણી ખાલી કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં એક તરફ ટીપા પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે, સરકાર બેઠકો કરી રહી છે. તો બીજી તરફ સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે. જ્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂર હતી. ત્યારે પાણી ન આપ્યું અને હવે સાબરમતી નદીમાં આવેલા વાસણા બેરેજના દરવાજાના સમારકામ માટે થઈને નદીનું પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે.
ખેતરમાં કોઈ પાક નથી ત્યારે સિંચાઈ વિભાગે ફતેવાડી કેનાલમાં પાણી છોડ્યું છે. જોકે હવે ભર ઉનાળે કોઈ જ પાક ન લેવાનો હોય તે સમયે સાબરમતી નદીમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. જેમાં સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે.
તમને જણાવીએ કે, અમદાવાદની શાન ગણાતી સાબરમતી નદીને ખાલી કરવામાં આવી રહી છે. વાસણા બેરેજના દરવાજાના સમારકામ કરવાનું હોવાથી નદીને ખાલી કરવામાં આવી રહી છે. ચોમાસાની તૈયારીના ભાગરૂપે બેરેજના દરવાજાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે છેલ્લા બે દિવસથી નદીનું પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે.
ત્યારે અહીં સવાલ એ પણ છે કે જ્યારે ખેડૂતોએ સિંચાઈના પાણીની માગ કરી હતી. ત્યારે તેમના માટે પાણી છોડાયું ન હતું, પરંતુ હવે દરવાજાનું સમારકામ કરવાનું હોવાથી નદી ખાલી કરવામાં આવી રહી છે અને કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. અહીં પરસ્પર સંકલનનો અભાવ દેખાઈ રહ્યો છે. જો સિંચાઈ વિભાગે પહેલા જ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનો આદેશ કર્યો હતો. તો પાણી ખેડૂતોને પણ કામ લાગ્યું હોત અને બેરેજના દરવાજાનું રિપેરિંગ કામ પણ થઈ જાત. જોકે હવે કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જે ખેડૂતોના કોઈ જ કામમાં નથી આવવાનું. આમ પરસ્પર સંકલનના અભાવે કિંમતી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.