રાજસ્થાનના કોટાના સાંસદ ઓમ બિરલા આજે કોઇ પણ જાતના વિરોધ વગર લોકસભાના સ્પીકર તરીકે સત્તાવાર ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. લોકસભાના સ્પીકર પદ માટે અન્ય કોઇ નામ રેસમાં હતું નહીં. ઓમ બિરલાએ ગઇ કાલે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું, પરંતુ તેમની સામે અન્ય કોઇ સાંસદે ઉમેદવારીપત્ર ભર્યું ન હતું અને તેથી તેમનું ચૂંટાવું નિશ્ચિત હતું.
કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, એનડીએના તમામ પક્ષો અને અન્ય વિપક્ષોએ પણ ઓમ બિરલાના નામને સમર્થન આપ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂકયો હતો જેનું સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સમર્થન કર્યું હતું. ત્યાર બાદ અમિત શાહ, અરવિંદ સાવંત સહિત અન્ય કેટલાય સાંસદોએ બિરલાના નામનો પ્રસ્તાવ મૂકયો હતો અને અન્ય સાંસદોએ તેમને ટેકો જાહેર કર્યો હતો.
હવે ઓમ બિરલા સ્પીકર પદ સંભાળશે અને ગૃહની કાર્યવાહીનું સંચાલન કરશે. ભાજપે લોકસભાના સ્પીકર માટે એનડીએમાં પોતાના સાથી શિવસેના, જેડીયુ, અકાલીદળ સાથે મળીને ઓમ બિરલાનું નામ આગળ વધાર્યું હતું. કોંગ્રેસની બેઠકમાં કોઇ પોતાના સાંસદને સ્પીકર માટે ઊભા નહીં રાખવાનો નિર્ણય કરવામાં આવતાં ઓમ બિરલાની સર્વાનુમતે નિયુક્તિનો માર્ગ મોકળો થઇ ગયો હતો.