ઓડિશામાં વિધાનસભાની ચાલુ કાર્યવાહીની વચ્ચે ભાજપ ધારાસભ્યએ સેનેટાઈઝર પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઓડિશામાં ખેડૂતો મુદ્દે ગૃહમાં હંગામો
પાણીગ્રહી નામક ધારાસભ્યનો આપઘાતનો પ્રયાસ
તાબડતોબ મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો
ઓડિશાની વિધાનસભામાં અનાજની ખરીદીને લઈને હંગામેદાર પ્રદર્શનની વચ્ચે ભાજપના ધારાસભ્યએ સરકારના વિરોધમાં સેનેટાઈઝર પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
શું થયું સદનમાં?
ઓડિશાના મંત્રી આરપી સ્વાઇન અનાજ ખરીદી મુદ્દે પોતાનું નિવેદન આપી રહ્યા હતા ત્યારે જ દેવગઢ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સુભાષચંદ્ર પાણિગ્રહીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. નોંધનીય છે કે અનાજની ખરીદીને લઈને ઓડિશાની વિધાનસભામાં ખૂબ હોબાળો થયો હતો. ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ આ હોબાળો કર્યો જે બાદ રાજ્યના મંત્રી નિવેદન આપી રહ્યા હતા ત્યારે જ પાણિગ્રહી ઊભા થયા અને પોતાની સેનેટાઈઝરની બોટલ કાઢીને પીવાનો પ્રયાસ કર્યો.
'મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો'
પાણીગ્રહી વિધાનસભા ગૃહમાં આજ કૃત્ય કરી રહ્યા હતા જેને જોઈને આસપાસના ધારાસભ્યો સફાળા ઊભા થઈ ગયા અને પાણીગ્રહીના હાથમાંથી બોટલ ઝૂંટવી લીધી. પાણીગ્રહીએ આ મુદ્દે કહ્યું કે મેં પહેલા જ આત્મદાહ કરી લેવાની ધમકી આપી હતી છતાં સરકારે ખેડૂતોના મુદ્દા પર ધ્યાન ન આપ્યું, ખેડૂતો બજારમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે મારા પાસે આ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો ન હતો.
તરત જ ડૉક્ટરોએ પાણીગ્રહીનો મેડિકલ ટેસ્ટ કર્યો હતો અને તે બાદ કહેવામાં આવ્યું કે તે સ્વસ્થ છે. બીજું જનતા દળના ધારાસભ્ય અનંત દાસે કહ્યું હતું કે ભાજપ ધારાસભ્યનું આ કૃત્ય અસ્વીકાર્ય છે.