દેશમાં કોરોના વાયરસે ભરડો લીધો છો. ભારતમાં કોરોના વાયરસનો ચેપ 31 હજારથી વધારે લોકોને લાગી ચૂક્યો છે અને 1000થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. ત્યારે કોરોનાનો સૌથી વધુ પ્રભાવ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. જ્યારે કોરોના પીડિતોનો આંકડો 9915 પહોંચી ગયો છે ત્યારે બુધવારમાં 597 કેસ નોંધાયા હતા અને 32 લોકોના મોત થયાં હતા.
આ તમામ પૈકી 457 નવા કેસ અને 26 મોત તો માત્ર મુંબઇમાં જ નોંધાયા હતા. આપને જણાવી દઇએ કે, મુંબઇમાં કોરોના વાયરસનો કહેર વધારે પ્રમાણમાં છે. અહીં કોરોના પીડિતોની સંખ્યા 6644 થઇ ગયેલ છે.
મુંબઇની ધારાવીમાં નવા 14 કેસ નોંધાયા
આ તરફ મુંબઇની ધારાવીમાં બુધવારે કોરોના વાયરસના 14 નવા મામલા સામે આવ્યા હતા. ત્યારબાદ અહીં કોરોના પીડિતોની સંખ્યા વધીને 344 થઇ ગઇ હતી. અહીં અત્યાર સુધીમાં 18 લોકોના કોવિડ-19ને કારણે મોત થયાં છે. તેમણે જણાવ્યું કે, ધારાવીમાં નવા મામલા 90 ફુટ તથા 60 ફુટ રોડ, માટુંગા લેબર કેમ્પ, કોલિવાડા, કુટ્ટીવાડી, ધોરવાડા, ટ્રાન્જિટ કેપ તથા કુંચી કુરવે નગરમાં આવ્યા છે.
દેશમાં કોરોના વાયરસના કેસ 30 હજારને પાર
દરમિયાન દેશમાં કોરોના વાયરસ કેસ 32 હજારની નજીક પહોંચી ગયા છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરના આંકડા મુજબ, ભારતમાં કોરોનાવાયરસ સંક્રમિતોની સંખ્યા વધીને 31787 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 1813 નવા કેસ નોંધાયા છે અને 71 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે જ, દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 1008 લોકોનાં મોત નીપજ્યાં છે, જોકે રાહતની વાત છે કે 7797 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે.