ભારતીય રેલ્વેએ અગાઉ કોરોના સમયગાળા દરમ્યાન બંધ કરવામાં આવેલ વરિષ્ઠ નાગરિકો અને ખેલાડીઓ સહિત અન્ય શ્રેણીના મુસાફરોને રાહત ટિકિટની સેવા ફરી શરૂ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો
વરિષ્ઠ નાગરિકો અને લોકો માટે રાહત ટ્રેન ટિકિટ સેવા પુનઃસ્થાપિત કરવી શક્ય નથી: રેલમંત્રી
અલગ-અલગ કેટેગરીમાં આપવામાં આવતી રાહત ટીકીટોને કારણે રેલ્વેને મોટું નુકસાન થયું: રેલમંત્રી
વરિષ્ઠ નાગરિકો-ખેલાડીઓ અનેઅન્ય શ્રેણીના મુસાફરોને રાહત ટિકિટની સેવા ફરી શરૂ કરવાનો સ્પષ્ટ ઇનકાર
હવે વૃદ્ધો માટે રેલ મુસાફરી મોંઘી થશે ?
ભારતના રેલવે પ્રવાસીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલ્વેએ અગાઉ કોરોના સમયગાળા દરમ્યાન બંધ કરવામાં આવેલ વરિષ્ઠ નાગરિકો અને ખેલાડીઓ સહિત અન્ય શ્રેણીના મુસાફરોને રાહત ટિકિટની સેવા ફરી શરૂ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. રેલ્વે મંત્રી અશ્વની વૈષ્ણવે કહ્યું કે, રેલ્વેના પેસેન્જર સેગમેન્ટના ભાડા પહેલાથી જ ઘણા ઓછા છે અને અલગ અલગ કેટેગરીમાં આપવામાં આવતી રાહત ટીકીટોને કારણે રેલ્વેને મોટું નુકસાન થયું છે. આવી સ્થિતિમાં હવે આ લોકોને છૂટ નહીં મળે.
ડિસ્કાઉન્ટેડ ટિકિટને કારણે રેલવેને નુકસાન: રેલ મંત્રી
હકીકતમાં લોકસભામાં રેલવે પ્રધાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, સરકાર વરિષ્ઠ નાગરિકો માટે રાહત ટ્રેનની મુસાફરી ફરી ક્યારે શરૂ કરશે ? આ પ્રશ્નના જવાબમાં રેલ્વે મંત્રીએ કહ્યું કે, કોરોના રોગચાળાને કારણે રેલ્વે પહેલાથી જ બે વર્ષથી પેસેન્જર સેવાને કારણે ખોટમાં ચાલી રહી છે. રેલ્વે મંત્રીએ કહ્યું કે, રેલ કન્સેશન પુનઃસ્થાપિત કરવાથી રેલ્વેના નાણાકીય સ્વાસ્થ્ય પર વધુ ખરાબ અસર પડશે. તેથી વરિષ્ઠ નાગરિકો સહિત તમામ વર્ગના લોકો માટે રાહત ટ્રેન ટિકિટ સેવા પુનઃસ્થાપિત કરવી શક્ય નથી.
શુ કહ્યું રેલ મંત્રીએ ?
હાલમાં રેલવે ચાર પ્રકારની વિકલાંગ શ્રેણીઓ અને 11 પ્રકારના દર્દીઓ અને વિદ્યાર્થીઓને રાહતદરે ટ્રેન ટિકિટ આપે છે. રેલ્વે મંત્રીએ માહિતી આપી હતી કે, વરિષ્ઠ નાગરિકોની રેલ ટિકિટ પર ડિસ્કાઉન્ટને કારણે રેલ્વેને 2017-18માં 1491 કરોડ રૂપિયા, 2018-19માં 1636 કરોડ રૂપિયા અને 2019-20માં 1667 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એટલું જ નહીં, 2019-20માં જ્યાં 6.18 કરોડ વરિષ્ઠ નાગરિકોએ રેલવેમાં મુસાફરી કરી હતી, 2020-21માં 1.90 કરોડ અને 2021-22માં 5.55 કરોડ વૃદ્ધોએ રેલવેમાં મુસાફરી કરી હતી. તેમણે જણાવ્યું કે, 2019-20માં 22.6 લાખ વરિષ્ઠ નાગરિકોએ રાહતદરે ટિકિટની સુવિધા છોડી દીધી હતી.
તો શુ હવે વૃદ્ધો માટે રેલ મુસાફરી મોંઘી થશે ?
વરિષ્ઠ નાગરિકોને છૂટ આપવા પાછળનું મોટું કારણ એ હતું કે મોટા ભાગના વૃદ્ધો પાસે આવકનો સ્ત્રોત નથી. આ પછી માર્ચ 2020 માં કોરોના રોગચાળો (કોવિડ 19 રોગચાળો) શરૂ થયા પછી સરકારે તેમને રેલ મુસાફરી માટે આપવામાં આવતી રાહતો સ્થગિત કરી દીધી છે. આવી સ્થિતિમાં વરિષ્ઠ નાગરિકો માટે રેલ મુસાફરી મોંઘી પડી રહી છે.
અગાઉ કેટલું મળતું હતું ડિસ્કાઉન્ટ ?
નોંધનીય છે કે, માર્ચ 2020 પહેલા રેલવે વરિષ્ઠ નાગરિકોના કિસ્સામાં તમામ વર્ગોમાં મુસાફરી કરવા માટે મહિલાઓને 50 ટકા અને પુરૂષોને 40 ટકા ડિસ્કાઉન્ટ આપતી હતી. રેલ્વેમાંથી આ છૂટ મેળવવા માટેની લઘુત્તમ વય મર્યાદા વૃદ્ધ મહિલાઓ માટે 58 અને પુરુષો માટે 60 વર્ષ હતી. પરંતુ કોરોનાના સમયગાળા પછી, તેમને મળતી તમામ રાહતો નાબૂદ કરવામાં આવી છે.