34 દિવસ બાદ પ્રથમ વખત ગુજરાતમાં 1 હજારથી ઓછા કોરોનાના નવા કેસ નોંધાયા છે. 21 ડિસેમ્બર 2020ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 960 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તેથી છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે જે રાહતના સમાચાર છે. ત્યારે રાજ્યનું સૌથી સંક્રમિત શહેર અમદાવાદમાં પણ કોરોના ઘટ્યો છે. જેને લઇને હવે SVP હોસ્પિટલમાં નોન કોવિડ સારવાર શરૂ થશે.
અમદાવાદની SVP હોસ્પિટલમાં નોન કોવિડ સારવાર થશે શરૂ
કોરોનાના કેસ ઘટતા નોન કોવિડ સારવાર થશે શરૂ
આવતીકાલથી જનરલ સર્જરી,જનરલ ઓપીડી પણ થશે શરૂ
રાજ્ય અને અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી છે. આજે અમદાવાદમાં 211 કોરોનાના દર્દી નોંધાયા છે. તો બીજી તરફ સાજા થવાનો દર 93 ટકાને પાર પહોંચ્યો છે. અમદાવાદની SVP હોસ્પિટલમાં કોરોનાની શરૂઆતથી(માર્ચ મહિના) બાદ આવતીકાલ(મંગળવાર)થી પ્રથમ વખત નોન કોવિડ સારવાર શરૂ થશે. જેને લઇને હવે એવું કહી શકાય કે રાજ્યમાં કોરોના ઘટ્યો છે. આવતીકાલથી જનરલ સર્જરી, જનરલ ઓપીડી પણ શરૂ થશે. મહત્વનું છે કે, માર્ચ મહિનાથી મહામારીને કારણે નોન કોવિડ સારવાર બંધ હતી.
બ્રિટેનના કોરોના સ્ટ્રેઇનના ગુજરાતમાં લક્ષણો સામે આવ્યા નથી, ચેતવાની જરૂરઃ ડૉક્ટર્સ
કોરોનાનો નવો સ્ટ્રેઇન ભારત માટે ખતરો પણ બની શકે છે. આ અંગે ડૉક્ટર મોના દેસાઇએ કહ્યું હતું કે, ભારતમાં સમયસર પગલાં લેવાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બંધ કરવી જોઇએ. બ્રિટેનનો કોરોના સ્ટ્રેઇન અહીં પણ પગપેસારો કરી શકે છે. હજુ સુધી કોરોના સ્ટ્રેઇનના લક્ષણો સામે આવ્યા નથી. સ્ટ્રેઇન પર વેક્સિનની અસર કરે છે કે નહીં તે પણ મોટો સવાલ છે.
વેક્સિનની તડામાર તૈયારી
બીજી તરફ કોરોના વેક્સિન હવે આવવાની તૈયારી છે. આ માટે રાજ્ય સરકારે તાબડતોડ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા બેઠકો પર બેઠકો થઈ રહી છે. તો 20 હજારથી વધારે લોકોની ટ્રેનિંગ પુરી થઈ ગઈ છે. રાજ્ય સરકારો સાથે પણ સતત સંપર્ક રાખવામાં આવી રહ્યો છે.
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 204-ગ્રામ્યમાં 9 કેસ, સુરત શહેરમાં 124-ગ્રામ્યમાં 26 કેસ, વડોદરા શહેરમાં 102-ગ્રામ્યમાં 33 કેસ, રાજકોટ શહેરમાં 96-ગ્રામ્યમાં 26 કેસ અને કચ્છમાં આજે 31 કેસ નોંધાયા છે.