MBBSની પરીક્ષા પાસ કરવા માટે વધારે તક મળવી જોઈએ તેવી વિદ્યાર્થીઓની અરજી ફગાવતા દિલ્હી હાઈકોર્ટે એક જરુરી ચુકાદો આપ્યો છે.
MBBSનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે જરુરી માહિતી
MBBSની પરીક્ષા પાસ કરવા માટે ચારથી વધુ વાર નહીં મળે તક
દિલ્હી હાઈકોર્ટે નેશનલ મેડિકલ કમિશનના નિયમ પર લગાવી મહોર
MBBSનો અભ્યાસ કરતા અથવા નીટની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જરૂરી માહિતી છે. MBBSની પરીક્ષા આપવા માટે વધારે તક મળવી જોઈએ તેવી વિદ્યાર્થીઓની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે અને સાથે ચુકાદો જાહેર કર્યો કે MBBSની પરીક્ષા માટે વધારે તક ન આપી શકાય કારણ કે જે ડોક્ટર બનવા માટે લાયક છે તે તો આટલા પ્રયાસમાં પણ પાસ થઈ જાય તેને વધારે પ્રયાસની જરુર નથી.
નેશનલ મેડિકલ કમિશનનો નિયમ માન્ય રાખ્યો હાઈકોર્ટે
મેડિકલના વિદ્યાર્થીઓના એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે પણ એનએમસીની નવી ગાઈડલાઈનને માન્ય રાખી છે અને વિદ્યાર્થીઓની અરજી ફગાવી દીધી છે.
લાયક હોય ફક્ત તેવા લોકો ડોક્ટર બની શકે
વિદ્યાર્થીઓની અરજીને ફગાવી દેતા દિલ્હી હાઈકોર્ટે કહ્યું- 'મેડિકલ એક ઉમદા વ્યવસાય છે અને ડોક્ટરો મોટા પાયે સામાન્ય લોકોની સેવા કરે છે. તેથી નિયમો એવા હોવા જોઈએ કે તેઓ સુનિશ્ચિત કરી શકે કે ફક્ત તે જ લોકો કે જેઓ તેને લાયક છે ડોક્ટરો બની શકે.
શું હતો મામલો
એમબીબીએસના કેટલાક વિદ્યાર્થીઓએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી કે તેમને પરીક્ષા આપવાની વધુ તકો આપવી જોઈએ. કારણ કે એમબીબીએસની પરીક્ષામાં પ્રયત્નોની સંખ્યા મર્યાદિત ન હતી જ્યારે તેમણે એડમિશન લીધું હતું. વિદ્યાર્થીઓની એવી પણ દલીલ હતી કે તેમની મેડિકલ કોલેજમાં પ્રવેશ બાદ એનએમસીનો નિયમ આવ્યો છે, તેથી તે તેમને લાગુ ન થવો જોઈએ. હકીકતમાં આ વિદ્યાર્થીઓને MBBS ફર્સ્ટ યરની પરીક્ષા 4 પ્રયાસમાં પણ પાસ કરવામાં ફાંફા પડ્યાં હતા. ત્યાર બાદ નેશનલ મેડિકલ કમિશનના નવા નિયમ હેઠળ તેમને પરીક્ષા આપવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી મુખ્ય જસ્ટિસ સતીશચંદ્ર શર્માની અધ્યક્ષતાવાળી ખંડપીઠ કરી રહી હતી. ખંડપીઠે કહ્યું હતું કે નેશનલ મેડિકલ કમિશનનો નિયમ મનસ્વી નથી. ઉમેદવારને તે ઈચ્છે તેટલી વાર પરીક્ષા આપવાનો હક નથી.
શું છે NMCનો નિયમ?
આ કેસમાં નેશનલ મેડિકલ કમિશનના રેગ્યુલેશન ઓન ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન (એમેન્ડમેન્ટ) 2019ના નિયમ 7.7ને પડકારવામાં આવ્યો હતો. આ નિયમ મુજબ નીટ ક્વોલિફાઇ થયા બાદ જ્યારે તમે એમબીબીએસમાં નામ નોંધાવશો ત્યારે કોર્સ દરમિયાન તમને વાર્ષિક પરીક્ષામાં પાસ થવાની મહત્તમ 4 તક આપવામાં આવશે. એમબીબીએસની પરીક્ષા 4 વખત પાસ ન કરી શક્યા તો પાંચમી તક નહીં મળે.