અમદાવાદ જિલ્લાના દસ્કોઇ તાલુકાના હાથીજણ વિસ્તારમાં આવેલી ડીપીએસના ટ્રસ્ટી અને પૂર્વ પ્રિન્સિપાલ વિરુદ્ધમાં ફરિયાદ થતાં તેમજ સ્કૂલની માન્યતા રદ થતાં તેમાં બનાવેલો ગેરકાયદે સ્વામી નિત્યાનંદનો યોગિની સર્વાજ્ઞપીઠમ આશ્રમ ખાલી કરવામાં આવ્યો છે. આશ્રમમાં રહેતા નિત્યાનંદના ચેલા ચપાટા તેમજ નકલી જટાધારી સાધકો અને સાધિકાઓએ ૨૮ બાળકો સાથે પોલીસ રક્ષણ લઈ આશ્રમ ખાલી કરી દીધો હતો. આશ્રમથી બે બહેનો રહસ્યમય રીતે ગુમ થયા બાદ એક પછી એક નવા વળાંકો આવ્યા હતા. જેના કારણે વિવાદ વધુ વકરતાં ડીપીએસ સ્કૂલે ત્રણ મહિનામાં આશ્રમ ખાલી કરવા માટેની નોટિસ આપી હતી.
નિત્યાનંદ આશ્રમના વિવાદ બાદ આજે સવારે સાધકો અને સાધિકાઓએ આશ્રમ ખાલી કરીને બેંગલુરુ જવા માટે રવાના થયા છે. આશ્રમમાં સાધકો અને સાધ્વીઓ હતાં જ્યારે ૨૮ બાળકો રહેતાં હતાં. ડીપીએસ સ્કૂલ દ્વારા આશ્રમને ત્રણ મહિનામાં ખાલી કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતો, જેને પગલે આજે બે લક્ઝરી બસ સવારે આશ્રમના ગેટ પર આવી પહોચી હતી.
જેમાં કેટલાંક બાળકો તેમજ સાધકો અને સાધ્વીઓ બેસીને બેંગલોર જવા રવાના થયાં હતાં તો કેટલાંક બાળકોનાં માતા પિતા તેમને લેવા માટે આવી ગયાં હતાં. આ મામલે અમદાવાદ જિલ્લાના ડીવાયએસપી કે.ટી.કામરિયાએ જણાવ્યું છે કે નિત્યાનંદિતા ગુમ થવા મામલે પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ હોવાથી કેસમાં સંકળાયેલા આઠ સાધકો અને સાધ્વીઓને અમદાવાદ નહીં છોડવા માટે પોલીસે જાણ કરી હતી. જેથી તેઓ તેમના ભાડે રાખેલા બંગલોઝમાં રહેશે.
થોડાક દિવસો પહેલાં પુત્રી નિત્યાનંદિતાને મળવા માટે દક્ષિણ ભારતથી આવેલા જનાર્દન શર્મા સંચાલકોએ મળવા નહીં દેતાં મામલે બીચક્યો હતો. જેથી જનાર્દન શર્માએ આશ્રમના સંચાલકોએ યુવતીને ગુમ કરી હોવાના આક્ષેપો કર્યો હતા. આ મામલા બાદ યોગિની સર્વાજ્ઞપીઠમ આશ્રમ વિવાદોમાં આવ્યો હતો.
થોડા દિવસો પહેલાં નિત્યાનંદિતા ગુમ થવાની ફરિયાદ પોલીસે કરી હતી. જ્યારે નિત્યાનંદિતાનો સગીર ભાઇ અને બહેનને ગોંધી રાખીને બાળ મજૂરી કરાવવા મામલે વિવેકાનંદ પોલીસે નિત્યાનંદ અને બે સાધિકાઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી હતી.
બીજી બાજુમાં નિત્યાનંદિતા ગુમ થવા મામલે જનાર્દન શર્માએ હાઇકોર્ટમાં હેબિયર્સ કોર્પસ ફાઇલ કરી હતી. જેમાં કોર્ટે પોલીસને નિત્યાનંદિતાને શોધીને કોર્ટમાં હાજર કરવા માટે આદેશ કર્યા હતા. નિત્યાનંદિતા અને તેની બહેન લોપામુદ્રા અનેક વખત વીડિયો કોલ દ્વારા સામે આવી હતી અને તેઓ મરજીથી ગઇ હોવાનું નિવેદન આપ્યું હતું અને પરિવાર સાથે નહીં પંરતુ આશ્રમમાં ખુશ હોવાનું કહ્યુ હતું. બંને જણાએ પોતાના પિતા જનાર્દન ઉપર પણ અનેક આરોપો કર્યા હતા.
પોલીસ અને સાયબર ક્રાઇમની ટીમે નિત્યાનંદિતાના આઇપી એડ્રેસથી તેમને શોધવા માટે તજવીજ શરૂ કરી પરંતુ પોલીસને તેમા પણ સફળતા મળી નહીં. પોલીસને મળ્યુ કે નિત્યાનંદિતા નેપાળ થઇને અન્ય દેશમાં જતી રહી છે ત્યારે નિત્યાનંદ પણ ગાયબ છે. નિત્યાનંદ, નિત્યાનંદિતા અને લોપામુદ્રા ગુમ થવાનો મામલો ચાલી રહ્યો હતો ત્યારે ડીપીએસ સ્કૂલની સીબીએસસીની માન્યતાને લઇને પણ શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી હતી.
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ રાજેન્દ્ર વ્યાસે વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં ડીપીએસ, કેલોરેક્સ ફાઉન્ડેશનના મંજુલા શ્રોફ અને હિતેન વસંત અને સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ અનીતા દુઆ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.
ડીપીએસ-ઈસ્ટ સ્કૂલના તત્કાલીન આચાર્ય અનીતા દુઆ (રહે. આરોહી રોટલ બંગલોઝ, બોપલ)એ શિક્ષણ વિભાગના નામે સીબીએસઈ સમક્ષ ખોટી એનઓસી રજૂ કરી હતી. જેમાં ૨૦૦૯માં કરેલી દરખાસ્તમાં અંગ્રેજીમાં હિતેન વસંત (ફોર કેલોરેક્સ ફાઉન્ડેશન, ટ્રસ્ટી)એ સહી કરી હતી તેમજ ૨૧-૦૧-૨૦૧૨ની દરખાસ્તમાં અંગ્રેજીમાં (ફોર કેલોરેક્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન, ડાયરેક્ટર)ના સિક્કા પર મંજુલા એસ. સહી કરી છેતરપિંડી કરી હતી.