કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સંસદીય બોર્ડમાંથી હટાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમનું એક નિવેદન આવ્યું હતું.
નીતિન ગડકરીનું નિવેદન
યુઝ એન્ડ થ્રોના યુગમાં જોડાવું જોઈએ નહીં
કૂવામાં કૂદીને મરી જઈશ, પણ કોંગ્રેસમાં નહી જોડાવ
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સંસદીય બોર્ડમાંથી હટાવવામાં આવ્યા હતા. દરમિયાન, ગડકરીએ શનિવારે રિચર્ડ નિક્સનને ટાંકીને કહ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિનો પરાજય થાય છે, ત્યારે તેનો અંત આવતો નથી, પરંતુ જ્યારે તે હાર માની લે છે, ત્યારે તેનો અંત આવે છે. ગડકરી નાગપુરના ઉદ્યમીઓની બેઠકને સંબોધન કરી રહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, કોઈએ પણ યુઝ એન્ડ થ્રોના યુગમાં જોડાવું જોઈએ નહીં.
યુઝ એન્ડ થ્રો'ના યુગમાં જોડાવું નહી
નાગપુરમાં ગડકરીએ એમ પણ કહ્યું હતું કે, જે કોઈ પણ બિઝનેસ, સોશિયલ વર્ક કે પોલિટિક્સમાં હોય તેના માટે માનવીય સંબંધો સૌથી મોટી તાકાત હોય છે. તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સંસદીય બોર્ડમાંથી હટાવવાના કારણે ચર્ચામાં આવેલા ગડકરીએ કહ્યું હતું કે, "તેથી કોઈએ પણ 'યુઝ એન્ડ થ્રો'ના યુગમાં જોડાવું જોઈએ નહીં. સારા દિવસો હોય કે ખરાબ દિવસો, એક વાર તમે કોઈનો હાથ પકડી લો તો તેને પકડી લો. ઉગતા સૂર્યની પૂજા ન કરવી. ગડકરીએ યાદ અપાવ્યું હતું કે જ્યારે તેઓ વિદ્યાર્થી નેતા હતા, ત્યારે કોંગ્રેસના નેતા શ્રીકાંત જીચકરે તેમને વધુ સારા ભવિષ્ય માટે કોંગ્રેસમાં જોડાવા જણાવ્યું હતું.
કૂવામાં કૂદીને મરી જઈશ, પણ કોંગ્રેસમાં નહીં જોડાવ
"મેં શ્રીકાંતને કહ્યું હતું કે, હું કૂવામાં કૂદીને મરી જઈશ, પરંતુ કોંગ્રેસમાં નહીં જોડાવું કારણ કે મને કોંગ્રેસની વિચારધારા પસંદ નથી. ગડકરીએ કહ્યું કે યુવા ઉદ્યોગ સાહસિકોએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનની આત્મકથામાં આપેલું વાક્ય યાદ રાખવું જોઈએ કે માણસ જ્યારે હારે છે ત્યારે તેનો અંત નથી આવતો, પરંતુ જ્યારે તે હાર માની લે છે ત્યારે તેનો અંત આવે છે.
ટીકાકારોને આપ્યો આકરો જવાબ
નીતિન ગડકરીએ ગુરૂવારે પોતાના આલોચકો અને મીડિયાના એક વર્ગ પર પ્રહાર કરતા કહ્યું કે રાજકીય ફાયદા માટે તેમના નિવેદનોને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે. પોતાના નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહેતા ગડકરીને ગયા અઠવાડિયે ભાજપ સંસદીય બોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમણે આજે કહ્યું હતું કે સરકાર અને પક્ષના હિતમાં આવા નિવેદનો કરનારાઓ સામે તેઓ કાનૂની આશ્રય લેશે. ગડકરીએ ટ્વિટ કર્યું હતું કે, "આજે ફરી એકવાર, મુખ્યધાર મીડિયા, સોશિયલ મીડિયાનો એક વર્ગ અને કેટલાક લોકો દ્વારા રાજકીય લાભ માટે મારી વિરુદ્ધ દ્વેષપૂર્ણ અને બનાવટી અભિયાન ચાલુ રાખવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને જાહેર કાર્યક્રમોમાં યોગ્ય સંદર્ભ વિના મારા નિવેદનો રજૂ કરવામાં આવી રહ્યા છે." જેને હાલ સોશીયલ મીડિયા પર ઉપયોગ લેવાય રહ્યો છે.