પુલવામા હુમલો: 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ આત્મઘાતી હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા હતા. હવે આ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ બે લોકોની ધરપકડ કરી છે. આરોપ છે કે તેમાંથી એક આરોપીએ વિસ્ફોટમાં ઉપયોગમાં લેવાતા કેમિકલને ઇ કોમર્સ વેબસાઇટ એમેઝોનથી ઓર્ડર કરીને મંગાવી હતી.
ધરપકડ કરાયેલ લોકો વાઇઝ-ઉલ ઇસ્લામ (19) અને મોહમ્મદ અબ્બાસ રાથેડ (32) છે. પુલવામા હુમલા માટે અત્યાર સુધી 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્રણ દિવસ પહેલા NIAએ પિતા-પુત્રીની હાકરીપોરાથી ધરપકડ કરી હતી જેમની ઉપર આરોપીઓને શરણ આપવાનો આક્ષેપ છે.
કેમિકલ્સથી બનાવ્યો હતો IED
NIAના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે
"પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ એમેઝોનથી કેમિકલનો ઓર્ડર આપ્યો હતો. આ રીતે IED બનાવવામાં આવ્યુ હતું. બેટરી અને એસેસરીઝ પણ મંગાવવામાં આવી હતી. આ માટે પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ સૂચના આપી હતી. એમેઝોનથી માલ મંગાવ્યા બાદ વાઈઝે જાતે જૈશ આતંકીઓને તે આપી દીધી હતી."
એક આરોપીને શરણ આપવાના આરોપ અંગે
NIAના કહેવા પ્રમાણે
"અબ્બાસ લાંબા સમયથી જૈશ માટે કામ કરી રહ્યો હતો. તેણે જૈશના આતંકવાદી અને IED નિષ્ણાત મોહમ્મદ ઓમરને તેના ઘરે આશ્રય આપ્યો હતો. ઓમર એપ્રિલ-મે 2018 માં કાશ્મીર આવ્યો હતો. તેણે જૈશ આતંકવાદી આદિલ અહમદ ડાર (આત્મઘાતી બોમ્બર), સમીર અહેમદ ડાર અને કામરાન (બંને પાકિસ્તાની નાગરિકો) ને ઘણી વાર પોતાના ઘરે આશ્રય આપ્યો હતો."
એમેઝોન તપાસમાં પૂરો સહયોગ આપશે
એમેઝોને NIA સાથેની માહિતી પણ શેર કરી હતી. એમેઝોનના પ્રવક્તાએ કહ્યું હતું કે અમે નિયમો હેઠળ કામ કરીએ છીએ. સિક્યુરિટી સ્ટાન્ડર્ડ હેઠળ જેની સાથે અમે ડીલ કરીએ છીએ તેમના નામોની સૂચિ પણ અમારી પાસે છે. જો કોઈ અધિકારી કે એજન્સી અમારો સંપર્ક કરશે તો તપાસને ટેકો આપીશું.
હજુ સુધી ચાર્જશીટ દાખલ થઇ નથી
14 ફેબ્રુઆરી 2020 એ પુલવામા હુમલાની પહેલી વરસી હતી. 40 સૈનિકોની શહાદત બાદ સુરક્ષા દળોના એન્કાઉન્ટરમાં પાંચ શકમંદો માર્યા ગયા હતા. માનવામાં આવે છે કે આ પાંચે હુમલો કરવાના કાવતરામાં સામેલ હતા. NIA આ કેસની તપાસ કરી રહી છે પરંતુ NIA હજી સુધી આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી શક્યું નથી.