વડોદરા શહેરમાં દિવસેને દિવસે રસ્તા પર રખડતા ઢોરોનો આતંક વધી રહ્યો છે. ત્યારે ફરી ગોરવા વિસ્તારમાં કારના અડફેટે આવતા સાત ગાયોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જ્યારે કારચાલકને પણ ગંભીર ઇજા થતા સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયો છે.
ઉલ્લેખનીય છે કે વડોદરામાં રખડતા ઢોરના કારણે અકસ્માતો વધી રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં બે વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા. જે પછી લોકો દ્વારા વારંવાર તંત્રને સમસ્યાના ઉકેલ માટે રજૂઆતો કરવામાં આવી હતી. તો બીજી તરફ તંત્રએ હજુ સુધી આ મામલે કોઇ પગલાં લીધા નથી. વારંવાર રજુઆત કરવા છતા પણ તંત્રની ઢીલી કામગીરી જ સામે આવી રહી છે. તેથી આ પ્રકારના અકસ્માતો ક્યારે અટકશે તે પણ સવાલ ઉઠી રહ્યા છે.