ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો રંગેચંગે પ્રારંભ થયો છે. તંત્ર દ્વારા પરિક્રમાની મંજૂરી અપાતા જ ભાવિકોએ પરિક્રમાનો પ્રારંભ કરી દીધો હતો. પ્રથમ દિવસે જ એક લાખથી વધુ યાત્રાળુઓ ગિરનારના જંગલમાં પ્રવેશ્યા હતા.
ગિરનારની પરંપરાગત લીલી પરિક્રમાનો આસ્થાભેર પ્રારંભ થયો છે. ત્યારે ભક્તિનું ભાથું બાંધવા ભક્તોનું ઘોડાપૂર ગીરનારની ગોદમાં ઉમટયું છે. પરિક્રમાને લઇને ભવનાથ અને શહેરના માર્ગો પર ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. જૂનાગઢ તરફ આવતી બસ અને ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને લઈને શહેર અને પરિક્રમાના માર્ગ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ગિરનારની લીલી પરિક્રમાનું વિશેષ મહત્ત્વ છે. દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ આ પરિક્રમામાં ઉમટી પડે છે. આમ તો પરિક્રમાનો વિધિવત્ પ્રારંભ અગિયારસની રાત્રીથી થાય છે. જો કે શુક્રવારથી જ ભાવિકોનો ભારે ધસારો થતા શનિવારે સવારથી જ તંત્ર દ્વારા આગોતરી પરિક્રમાની મંજૂરી આપી દેવાઈ હતી. સવારથી જ પરિક્રમા રૂટનો ગેટ ખોલી નાંખવામાં આવ્યો હતો. આગોતરી પરિક્રમાના પ્રથમ દિવસે 1 લાખ કરતા વધુ યાત્રાળુઓએ જંગલમાં પ્રવેશ કર્યો હતો. વનવિભાગ દ્વારા નળપાણીની ઘોડી પાસે ગણતરી પોઇન્ટ શરૂ કરવામાં આવ્યો છે. રવિવાર સુધીમાં 1 610 યાત્રાળુઓએ નળપાણીની ઘોડી વટાવી હતી. પરિક્રમા શરૂ થતા ભવનાથમાં 150થી વધુ અન્નક્ષેત્રોમાં હરિહરનો સાદ પડવા લાગ્યો છે. પોલીસની રવેટીઓમાં કર્મચારીઓ તૈનાત થઇ ગયા છે. સૌરાષ્ટ્રભરમાંથી વેપારીઓ ધંધાર્થીઓએ પરિક્રમા માર્ગ પર ધંધા રોજગાર શરૂ કરી દીધા છે.
યાત્રાળુઓની સુવિધા અને મદદ માટે વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન શરૂ કરાઇ છે. સાથે જ રેલ વિભાગ દ્વારા ભાવિકોની ભીડને ધ્યાને લઈ સત્તાધાર-જુનાગઢ વચ્ચે ખાસ ટ્રેન શરૂ કરાઈ છે. તેમજ રાજકોટ-વરોવળ ટ્રેનમાં વધારાના બે કોચ જોડાયા છે. એસ.ટી. તંત્ર દ્વારા વધારાના રૂટો શરૂ કરાયા છે. પરિક્રમા માર્ગ પર જય ગિરનારીનો નાદ ગૂંજી રહ્યો છે. પ્રકૃતિના ખોળે ભક્તિનું ભાથું બાંધવા ઉમટી પડેલા ભાવિકો ભજન સાથે ભોજનનો પણ ભરપૂર આનંદ માણી રહ્યા છે.