લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ અને રાજકીય પક્ષો રોજ અવનવા દાવપેચ રમી રહ્યા છે. દેશના રાજકારણમાં રોજ બરોજ નવા સમીકરણો બનતા જાય છે ત્યારે ફરી એક નવો વળાંક સામે આવ્યો છે. અન્નાના ટીમની સભ્ય કિરણ બેદીએ મોદી રાગ આલાપ્યો છે.
ટીમ અન્નાની મહત્વપૂર્ણ સભ્ય કિરણ બેદી ખુલીને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના સમર્થનમાં આવી ગયા છે. કિરણ બેદીએ આગામી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને મત આપવાની વાત કરી છે. બેદીનો ભાજપ પ્રત્યેનો જુકાવ જૂનો અને જાણીતો છે તો ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે કિરણ બેદીએ ભાજપ સાથે જોડાઈ લોકસભાના ઉમેદવાર બનવું જોઈએ. કિરણ બેદીએ ટ્વીટર પર લખ્યું છે કે લોકસભા ચૂંટણીમાં તેમનો મત એક સ્થિર તથા જવાબદાર સરકાર માટે હશે. અને તે નરેન્દ્ર મોદી છે. માટે તેમનો મત નરેન્દ્ર મોદીના પક્ષમાં હશે. કિરણ બેદીએ મોદીને મત આપવા સંબંધી ટ્વીટ મામલે સ્પષ્ટતા કરતા કોંગ્રેસ પર નિશાન તાકયું છે. તેમણે કહ્યું કે તેઓ કોઈ પણ પક્ષના સભ્ય નથી પરંતુ તેણી ઈચ્છે છે કે જનતા ભ્રષ્ટાચારી કોંગ્રેસ સરકારને મત ન આપે. તેમણે સ્પષ્ટતા કરી કે સ્થિરતા તથા પ્રગતિના હિસાબે તેણી મોદીને મત આપશે. કારણકે મોદીને સરકાર ચલાવવાનો અનુભવ છે. જણાવી દઈએ કે બેદીએ દિલ્હીમાં સરકાર બનાવવાના ગતિરોધ દરમિયાન આમ આદમી પાર્ટી તથા ભારતીય જનતા પાર્ટીને મળીને સરકાર બનાવવા સૂચન કર્યુ હતું. તે સમયે ભાજપે બેદીના સૂચનનો અસ્વિકાર કર્યો હતો. આપના નેતાઓ કહેતા આવ્યા છે કે અન્ના હઝારે ભાજપ સમર્થક લોકોથી ઘેરાયેલા છે. તેવામાં કિરણ બેદીનું ટ્વીટ અનેક તર્ક વિતર્કો ઉભા કરે છે.
હાલ માં જ લોકસભામાં પાસ લોકપાલ બિલનો આપ નેતાઓએ વિરોધ પણ કર્યો હતો. પરંતુ ભાજપે લોકપાલ બિલનું સમર્થન કર્યુ હતું. અને આ મામલે અન્નાએ કોંગ્રેસ અને ભાજપ બંને રાજકીય પક્ષોનો આભાર માન્યો હતો. અરવિંદ કેજરીવાલ રાજકીય પક્ષની રચના કરી રાજકારણમાં ઘૂસ્યા બાદ અન્ના તથા તેમના સમર્થકો વચ્ચે મોટો મતભેદ ઉભો થયો હતો. તે સમયે અન્નાએ કહ્યું હતું કે કેજરીવાલ રાજકીય લાભ ખાટવા તેમના નામનો ઉપયોગ ન કરે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ ટીમ અન્ના અને કેજરીવાલ વચ્ચેના મતભેદો સામે આવ્યા હતા. આ તમામ વિવાદો વચ્ચે પણ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું. ત્યારે હવે અન્નાની પ્રમુખ સહયોગી કિરણ બેદીના મોદી રાગથી રાજકારણ ગરમાયું છે.