કોંગ્રેસે રાજ પરિવારમાંથી આવતા જ્યોતિરાદિત્ય સિંધિયાને શિવરાજસિંહ સામે મેદાનમાં ઉતાર્યા છે. ભાજપનાં નેતા અને રાજસ્થાનનાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયાનાં સગાં ફોઈ છે. ફોઈ ભલે પોતાને મહારાણી કેહવડાવવાનું પસંદ કરતાં હોય પણ ભાણેજ જ્યોતિરાદિત્ય સિંધિયા અને મધ્ય પ્રદેશ કોંગ્રેસના મુખિયા પોતાને લોકો મહારાજા કહે તે ઓછું ગમે છે. તો આવો કોંગ્રેસના આ યુવા નેતાને નજીકથી જાણીએ.
જ્યોતિરાદિત્ય સિંધિયા...મધ્ય પ્રદેશમાં 10 વર્ષથી સત્તા પર આસિન ભાજપને હટાવવા માટે કોંગ્રેસે ગ્વાલિયરના મહારાજને મેદાનમાં ઉતાર્યા છે. રાજનીતિમાં સિંધિયા રાજપરિવારની વાત કરીએ તો તેમના પિતા માધવરાવ સિંધિયા કોંગ્રેસના કદાવર નેતા હતા અને કેદ્રીય મંત્રી રહી ચૂક્યા હતા. દાદી રાજમાતા વિજયારાજે સિંધિયા જનસંઘનાં સંસ્થાપક સદસ્યોમાંનાં એક હતાં. તેમનો રુતબો અને સંશાધન જનસંઘને શરુઆતી દિવસોમાં પ્રાણવાયું પુરતાં હતાં. રાજસ્થાનમાં ભાજપ તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર વસુંધરારાજે સિંધિયા કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયાનાં ફોઈ છે. તેમનાં બીજાં ફોઈ તેમજ ભાજપનાં નેતા યશોધરારાજે સિંધિયા ગ્વાલિયરનાં સાંસદ છે અને આ વખતે મધ્ય પ્રદેશની શિવપુરી વિધાનસભા બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. પ્રજાજનો જ્યોતિરાદિત્ય સિંધિયાને જ્યારે મહારાજ કહે છે અને બેનર... પોસ્ટર.. કે હોર્ડિંગ પર સિંધિયાના નામની સાથે મહારાજા વિશેષણ જોડે છે. ત્યારે જ્યોતિરાદિત્ય કોશિશ કરે છે કે લોકો તેમને મહારાજા કહીને સંબોધિત ન કરે. તેઓ ચૂંટણી પ્રચાર વખતે કાર્યકર્તાઓથી લઈ જનતા જનાર્દનને હંમેશાં કહેતા રહે છે કે તેઓ આમ આદમી છે.. મહારાજા નહીં. કારણ સ્પષ્ટ છે.. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સામે તેમની ટ[ર છે અને વ્યક્તિગત છબિની દ્રષ્ટિએ તેઓ પ્રદેશમાં એટલા લોકપ્રિય નથી. જેટલા શિવરાજસિંહ છે. પ્રદેશની વાત તો છોડો.. ખુદ તેમના સંસદીય ક્ષેત્રમાં ભાજપ વધુ મજબૂત છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ગુના સંસદીય ક્ષેત્રમાં આવતી આઠ વિધાનસભા બેઠકોમાંથી સાત બેઠકો ભાજપે કબજે કરી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયા 2002માં ગુના બેઠક પરથી સહાનુભૂતિના સહારે સવા ચાર લાખ સરસાઈથી જિત્યા હતા. પરંતુ બે જ વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં તેમની સરસાઈ પાંચ ગણી ઘટી ગઈ હતી છતાં કોંગ્રેસના મુખ્યમંત્રી પદના દાવેદારોમાં તેમનું સ્થાન અવ્વલ છે. મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી પદના જેટલા પણ દાવેદાર છે. તેમાં જ્યોતિરાદિત્ય સૌથી યુવા છે. તેમની ઉંમર 42 વર્ષ છે. જ્યારે શિવરાજસિંહ ચૌહાણ 57 વર્ષના છે. આ સિવાય દિગ્વિજય સિંહ અને કમલનાથ 65ને પાર કરી ગયા છે. હાવર્ડથી અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ જ્યોતિરાદિત્ય સિંધિયા. 2001માં એ સમયે રાજનીતિમાં આવ્યા હતા. જ્યારે તેમના પિતા માધવરાવ સિંધિયાનું હવાઈ દુર્ઘટનામાં નિધન થયું હતું. જ્યોતિરાદિત્યને વિરાસતમાં પોતાના પિતાના સમર્થકોની એવી સમર્પિત સેના મળી. જે પુરા સૂબામાં ફેલાયેલી હતી. પણ માધવરાવ સિંધિયાના સમકાલીન નેતાઓએ જ્યોતિરાદિત્યને નડવામાં કોઈ કસર ન છોડી. એક સમય એવો આવ્યો... કે જ્યારે પ્રદેશમાં તેમના પ્રવાસ મુદ્દે દિલ્હી દરબારમાં ફરિયાદ થઈ અને દિલ્હીથી ફરમાન આવતાં તેમને પ્રવાસ અધવચ્ચે છોડવો પડયો. જો કે આજે કોંગ્રેસ પાર્ટીમાં કોઈ નેતા તેમની વિરુદ્ધ બોલતા અચકાય છે. તેમના સમર્થકોનું માનવું છે કે એક વર્ષ પહેલાં જો સિંધિયાનું નામ મુખ્યમંત્રી માટે જાહેર કરાયું હોત. તો કદાચ ગત ચૂંટણી કરતાં આ વખતે મુકાબલામાં કોંગ્રેસની સ્થિતિ વધુ બહેતર હોત.