આગામી વર્ષે યોજાનારી ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની નૈયાને પાર લગાવવાનો કપરો પડકાર તીરથસિંહ રાવતને સત્તા સંભાળવાની સાથે જ મળી ગયો છે
ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની નૈયા પાર કરાવી શકશે નવા મુખ્યમંત્રી?
બહુમતી છતાં ભાજપે ચાલુ કાર્યકાળમાં બદલવા પડ્યા મુખ્યમંત્રી
ઉત્તરાખંડમાં તીરથસિંહ સામે અનેક પડકારો
ઉત્તરાખંડમાં આખરે રાજકીય પંડિતો જેની આગાહી કરી રહ્યા હતા એ જ થયું છે. નેતૃત્વ પરિવર્તન થયું અને ત્રિવેન્દ્રસિંહ રાવતના સ્થાને તીરથસિંહ રાવતની મુખ્યપ્રધાન પદે તાજપોશી થઈ. ઉત્તરાખંડમાં છેલ્લે ૨૦૧૭માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી હતી અને ૭૦ સભ્યોવાળી વિધાનસભામાં ભાજપના ૫૭ સભ્યો જીતીને આવ્યા હતા. સૌથી મોટો સવાલ એ થાય છે કે, આટલી વિશાળ બહુમતી ધરાવતા પક્ષે પોતાની સરકારના મુખ્યપ્રધાનને ચાલુ કાર્યકાળે કેમ બદલવા પડ્યા? હજુ તો આગામી ચૂંટણી આડે એક આખું વર્ષ બાકી છે.
ભાજપમાં નથી જોવા મળતો જૂથવાદ
લોકશાહી વ્યવસ્થામાં પક્ષનું આંતરિક લોકતંત્ર પણ મહત્ત્વ ધરાવે છે. આ વ્યવસ્થામાં મુખ્યપ્રધાન ફક્ત વિધાનસભામાં બહુમતીથી આવેલા રાજકીય પક્ષના ધારાસભ્યોના નેતા જ હોય છે. તેમની પસંદગી પણ સૈદ્ધાંતિક રીતે તો ચૂંટાયેલા ધારાસભ્યો જ કરતા હોય છે. ભાજપમાં પરંપરાગત રીતે મુખ્યપ્રધાનની પસંદગી વખતે જૂથવાદ કે વિરોધનો વંટોળ જોવા મળતો નથી.
કોણ છે રાવત?
૨૦૧૭માં ત્રિવેન્દ્રસિંહ રાવતની પસંદગી આ જ રીતે એકદમ સરળતાથી કરવામાં આવી હતી. રાવતનું એ વખતે રાજનીતિમાં એવું કોઈ ખાસ વજન નહોતું છતાં તેમની પસંદગીનો વિરોધ થયો ન હતો. પોતાનાં ચાર વર્ષનાં શાસનમાં જોકે ત્રિવેન્દ્રસિંહ રાવત અસરકારક અને કારગર સીએમ સાબિત થઈ શક્યા નથી. તેમની કાર્યપ્રણાલી હંમેશાં ‘આત્મમુગ્ધ’ પદ્ધતિથી જ ચાલતી હોવાના આક્ષેપો પણ અવારનવાર થતા રહ્યા છે. સરકારનાં દરેક કામમાં રાવત અધિકારીઓને વધુ મહત્ત્વ આપતા રહ્યા અને તેમના જ પક્ષના ચૂંટાઈને આવેલા પ્રતિનિધિઓની સદંતર ઉપેક્ષા કરવામાં આવી હતી. તેમની આ આત્મ કેન્દ્રિત કાર્યપ્રણાલી ભાજપને મોટું નુકસાન કરી રહી હતી, જેની ફરિયાદ ભાજપના ધારાસભ્યો વારંવાર કેન્દ્રીય નેતાઓ અને હાઈકમાન્ડને કરતા હતા. આખરે ત્રિવેન્દ્રસિંહને ગાદી પરથી ઉતારીને તેમના સ્થાને તીરથસિંહને બેસાડવા એ પણ ભાજપની મોટી મજબૂરી જ હતી.
ભાજપ હાઈકમાન્ડે ત્રિવેન્દ્રસિંહને સત્તાસ્થાનેથી વિદાય આપીને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોને સ્પષ્ટ સંદેશ પણ આપી દીધો છે કે, સરકાર એક સામૂહિક જવાબદારીનું જ નામ હોય છે, જેને ચલાવવા માટે ચૂંટાયેલા તમામ સભ્યોને વિશ્વાસમાં લેવા બહુ જરૂરી છે.
સૂત્રોના દાવા અનુસાર, ત્રિવેન્દ્રસિંહ રાવત એ હદે આત્મમુગ્ધ બની ગયા હતા કે છેલ્લા બે વર્ષમાં પોતાના પ્રધાનમંડળનું વિસ્તરણ પણ કરી રહ્યા નહોતા અને મલાઈદાર તમામ વિભાગો પોતાની પાસે જ દબાવીને બેઠા હતા. કલ્પના કરી જુઓ કે, કોઈ મુખ્યપ્રધાન પોતાની પાસે ૪૫થી પણ વધુ વિભાગો રાખે તો એ સરકાર જનહિતમાં શું કામ કરી શકવાની? ત્રિવેન્દ્રસિંહની આ મનમાનીની ગંભીર નોંધ ભાજપના શીર્ષસ્થ નેતાઓએ ઘણા સમયથી લઈ લીધી હતી અને તેમને બદલવાનું પણ નક્કી જ હતું.
ત્રિવેન્દ્રસિંહે સરકારનાં કામકાજમાં ધારાસભ્યો સાથે ચર્ચા-વિચારણા કરી તેમની સલાહ લેવાના બદલે આખા રાજ્યનું સુકાન અમલદારોના હાથમાં આપી દીધું હતું, જેનાથી ભાજપ સરકારના પાયા ડગમગવા લાગ્યા હતા. ત્રિવેન્દ્રસિંહને હટાવીને ભાજપે જમીન સાથે જોડાયેલા અને લોપ્રોફાઈલ રહેતા તીરથસિંહ રાવત પર પસંદગી ઉતારી છે. તીરથસિંહ પાસે પ્રશાસનથી લઈને સંગઠન સુધીનો વર્ષોનો અનુભવ છે. તેઓ ઉત્તરાખંડ અસ્તિત્વમાં આવ્યું એ પહેલા ઉત્તરપ્રદેશ વિધાન પરિષદના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને ઉત્તરાખંડના શિક્ષણપ્રધાનની જવાબદારી પણ નિભાવી છે. હાલ તેઓ ગઢવાલ સંસદીય ક્ષેત્રથી લોકસભાના સાંસદ છે. તીરથસિંહની છબી બેદાગ રહી છે અને રાજનીતિમાં વિરોધીઓ પણ તેમની પ્રશંસા કરવા મજબૂર બને છે.
સાદગીનો પર્યાય અને મૃદુભાષી તીરથસિંહ પર ભાજપે બહુ મોટી જવાબદારી નાખી દીધી છે. આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની નૈયાને પાર લગાવવાનો પડકાર તીરથસિંહને સત્તા સંભાળવાની સાથે જ મળી ગયો છે. ત્રિવેન્દ્રસિંહની મનમાનીથી દાઝેલા ઉત્તરાખંડના લોકો પણ તીરથસિંહ પાસે ઘણી અપેક્ષાઓ લઈને બેઠા છે.•