ગરમીની મોસમમાં દેશનાં શહેરોમાં એસીનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જે ઊર્જાની જરૂરિયાત વધારવાની સાથે સાથે જળ વાયુ પરિવર્તન માટે પણ એક પડકાર છે. પર્યાવરણશાસ્ત્રીઓનું કહેવું છે કે આ સ્થિતિ સામે લડવા વિશેષ પ્રકારનાં ભવનો નિર્માણ કરવાની જરૂર છે. જે ઉષ્માનું અનુકૂલન સાધી શકે. તેનાથી એસીની માગ ઘટાડી શકાય છે.
સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્મેન્ટના એક રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતના દરેક ઘરમાં વર્ષના સાત મહિના એસી ચલાવાય છે. વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન ઉત્પાદિત કુલ વીજળીની તુલનામાં વીજળીની આવશ્યકતા ૧૨૦ ટકા વધી શકે છે. આ રિપોર્ટ રાજધાની દિલ્હીમાં વીજળીના ઉપયોગ સાથે જોડાયેલી ૮ વર્ષની પ્રવૃત્તિના વિશ્લેષણ પર આધારિત છે.
રિપોર્ટમાં દિલ્હીમાં વીજળીના ૨૫-૩૦ ટકા વાર્ષિક ઉપયોગ માટે વધુ પડતી ગરમીને જવાબદાર ઠેરવાય છે. પ્રચંડ ગરમીના દિવસોમાં આ આંકડો ૫૦ ટકા સુધી પહોંચી જાય છે. આ વર્ષે સાતથી ૧૨ જૂનની વચ્ચે પ્રચંડ ગરમીના સમયમાં દિલ્હીમાં વીજળીની ખપતમાં ૨૫ ટકાનો વધારો નોંધાયો છે. જે સરેરાશ વીજળીના ઉપયોગની તુલનામાં ખૂબ જ વધુ છે.
ભવિષ્યમાં આ સમસ્યા રાષ્ટ્રીય સ્તર પર જોવા મળશે, કેમ કે દેશભરમાં જળવાયુ પરિવર્તનનું દબાણ સતત વધી રહ્યું છે. આ રિપોર્ટના લેખક અવિકલ સોમવંશીએ જણાવ્યું કે ઊર્જા દક્ષતા બ્યૂરોનું અનુમાન છે કે એરકંડિશનરના ઉપયોગથી કુલ કનેક્ટેડ લોડ વર્ષ ૨૦૩૦ સુધી ૨૦૦ ગીગાવોટ હોઇ શકે છે. ઊર્જા મંત્રાલયે જણાવ્યું કે વર્ષ ૨૦૧૫માં ઉપકરણોનો કુલ ઘરેલુ કનેક્ટેડ લોડ ૨૧૬ ગીગાવોટ હતો.
તેનો અર્થ એ છે કે જેટલી વીજળી આજે તમામ ઘરેલુ ઉપકરણોમાં ખર્ચાય છે એટલી વીજળી ૨૦૩૦માં માત્ર એસી ચલાવવામાં ખર્ચ થઇ શકે છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ૨૫થી ૩૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય ત્યારે વીજળીની જરૂરિયાતમાં વધારો થતો નથી. તાપમાન ૩૨ ડિગ્રીથી વધુ હોય ત્યારે વીજળીની માગ વધે છે.
આ માટે ઠંડા કરનારા યાંત્રિક ઉપકરણોનો વધુ પડતો ઉપયોગ જવાબદાર હોઇ શકે છે. સીએસઇના ડિરેક્ટર અનુમિતા ચૌધરીએ જણાવ્યું કે વધુ ગરમીથી છુટકારો મેળવવા વ્યાપક સ્તર પર વાસ્તુ ડિઝાઇન ઉપરાંત શીતલન સાથે જોડાયેલી મિશ્રિત પદ્ધતિઓને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. રાષ્ટ્રીય કૂલિંગ એક્શન પ્લાનના લક્ષ્યને પણ પાર પાડી શકાય છે.