રાજનાથ સિંહે સંરક્ષણમંત્રી તરીકે જવાબદારી સ્વીકાર્યા બાદ તરત જ સિયાચિન ગ્લેસિયરની મુલાકાત લેવાનું પસંદ કર્યું. આ બાબત દર્શાવે છે કે સંરક્ષણની દ્રષ્ટિએ ભારત આ વ્યૂહાત્મક સ્થળ પ્રત્યે કેટલું સંવેદનશીલ છે. સિયાચિન દુનિયાની સૌથી ઊંચી યુદ્ધભૂમિ તરીકે પ્રખ્યાત છે. એટલું જ નહીં એશિયાનાં અનેક દેશોની રાજનીતિ સતત ગરમ રહેતી હોય છે તેવો આ વિસ્તાર દુનિયાની સૌથી ઠંડી યુદ્ધભૂમિ તરીકે પંકાયેલો છે. ત્યારે રાજનાથની સિયાચિન મુલાકાતનાં શું હોઈ શકે છે સંકેતો જોઈએ આ અહેવાલમાં.
દુનિયાની સૌથી ઊંચી યુદ્ધભૂમિ તરીકે જાણીતા સિયાચિન ગ્લેસિયરની મુલાકાત લઈને રાજનાથ સિંહે અનેક સંકેતો આપી દીધા છે. સંરક્ષણમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ તરત પોતાની પહેલી મુલાકાત માટે તેમણે ચીન અને પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા લડાખની પસંદગી કરી હતી. અહીં લેહમાં તહેનાત 14 પલટને રાજનાથને વર્તમાન હાલતથી માહિતગાર કર્યા. સમુદ્ર સપાટીથી 20 હજાર કિમી ઊંચાઈએ સ્થિત સિયાચિન ગ્લેસિયર બેઝકેમ્પમાં જવાનો સાથે મુલાકાત કરીને યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. રાજનાથે સંરક્ષણ મંત્રી તરીકે જવાબદારી સંભાળ્યાં બાદ પોતાની પ્રથમ મુલાકાત માટે જે સ્થળ પર પસંદગી ઉતારી છે તે સ્થળ વ્યૂહાત્મક રીતે ઘણું ખાસ છે.
સિયાચિન દુનિયાની સૌથી ઊંચી યુદ્ધભૂમિ છે. કારાકોરમ પર્વતમાળા પર 20 હજાર ફૂટની ઊંચાઈએ સ્થિત આ સ્થળ દુનિયાનું સૌથી દુર્ગમ સ્થળ કહેવાય છે. અહીં તાપમાન હંમેશા માઈનસ 10 ડિગ્રીથી નીચું જ રહે છે. શિયાળા દરમિયાન અહીં માઈનસ પચાસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય છે. અહીં સમગ્ર વિસ્તારમાં હંમેશા બરફની ચાદર પથરાયેલી રહે છે. સિયાચિનની સૌથી ઊંચી મિલિટરી પોસ્ટ ઈંદિરા પોસ્ટ છે. જે અઢાર હજાર આઠસો પંચોતેર (18,875) ફૂટની ઊંચાઈ પર છે. અહીંથી પાકિસ્તાનનાં હિસ્સામાં આવનારી સાલ્તરો ખીણ સિયાચિનથી ત્રણ હજાર ફૂટ નીચે છે.
વિશ્વની આ સૌથી ઊંચી રણભૂમિ જેટલી દુર્ગમ છે તેટલો તેનો ઈતિહાસ પણ શૌર્યથી ભરેલો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1948માં યુદ્ધવિરામ લાગુ થયો હતો. 1971 ભારત-પાક યુદ્ધ બાદ 1972માં સિમલા કરાર થયાં. જે મુજબ આ વિસ્તાર રહેવા લાયક ન હોય. અહીં કોઈ પણ દેશે સેના રાખવી નહીં તેવો કરાર થયો. પરંતુ 70નાં દાયકામાં જોવા મળેલા એક કારાકોરમના નક્શામાં એ વાતનો ઘટસ્ફોટ થયો કે, સિયાચિન આસપાસનો કેટલોક વિસ્તાર પાકિસ્તાને પોતાના હિસ્સાનો ગણાવ્યો હતો.
આ નકશો સામે આવ્યા બાદ ભારતે તપાસ શરૂ કરી તો એ વાત સામે આવી કે પાકિસ્તાને કેટલાક વિદેશી પર્વતારોહકોને પર્વતારોહણ કરવાની મંજૂરી આપી હતી. વધારે તપાસ કરી તો એ પણ માહિતી મળી કે સિયાચિન ક્ષેત્રમાં પાકિસ્તાને ધીમાપગલે પોતાની સેના પણ તહેનાત કરી દીધી છે. એટલું જ નહીં પાકિસ્તાન પર્વતારોહીનાં વેશમાં પોતાની સેનાનો જમાવડો આ ક્ષેત્રમા કરવાની ફિરાકમાં હતો. જો કે ભારતે પરિસ્થિતિ પારખીને 1984માં ઓપરેશન મેઘદૂત લોન્ચ કર્યું અને પાકિસ્તાનની હાજરી અહીંથી ખદેડી દીધી. ભારતે કુમાઉ રેજિમેન્ટની એક ટુકડીને હેલિકોપ્ટરર્સ સાથે અહીં તૈનાત કરવી પડી.
ભારતે સિયાચિનમાં સેના તહેનાત રાખવા માટે દરરોજ સાત કરોડ રૂપિયા ખર્ચવા પડે છે. અહીં ભારે હિમસ્ખલનમાં દર વર્ષે દસથી વધારે સૈનિકો શહીદ થઈ જાય છે. 2012માં પાકિસ્તાનના 140 સૈનિકો બર્ફમાં દબાઈને મૃત્યું પામ્યા હતાં. 1984થી આજ સુધીમાં અહી 900 જવાનો શહીદ થયા છે. રૂ.2ની એક રોટલી સિયાચિન પર પહોંચતા રૂ.200ની થઈ જાય છે. છતાં ભારત કે પાકિસ્તાન અહીંથી સેના હટાવવાનું નામ લેતા નથી. 1984થી અત્યાર સુધીમાં અહીંથી સેના હટાવવા માટે 13 વખત વાતચીત થઈ ચૂકી છે. પરંતુ કોઈ નિર્ણય આવી શક્યો નથી. કેમ કે, વ્યૂહાત્મક રીતે સિયાચીન પરથી પાકિસ્તાન,ભારત અને ચીન પર નજર રહી શકે છે. આ સ્થતિમાં કોઈ દેશ અહીંથી સૈનિકો હટાવવા રાજી નથી.