ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા રાજકીય નકશાને લઇને નેપાળે હવે વાંધો ઉઠાવ્યો છે. નેપાળ સરકારે બુધવારે જણાવ્યું કે દેશને સુદૂર પશ્ચિમી વિસ્તારમાં સ્થિત કાલાપાની નેપાળની સીમામાં છે. ઉલ્લેખનીય છે કે ભારતે શનિવારના રોજ નવો રાજકીય નકશો જારી કર્યો હતો જેમાં નવગઠિત જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશને સરહદની અંદર દર્શાવ્યો છે. નકશામાં પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરને નવગઠિત જમ્મૂ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશના ભાગ તરીકે દર્શાવ્યો છે જ્યારે ગિલગિટ-બાલ્ટિસ્તાનને લદ્દાખના ભાગ તરીકે જાહેર કર્યો છે.
નેપાળ સરકારે કહ્યું છે કે કાલાપાનીને ભારતનો નકશામાં બતાવ્યા અંગેની જાણકીર મીડિયા દ્વારા મળી છે. નેપાળના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે નેપાળ સરકાર સ્પષ્ટ છે કે કાલાપાનીનો વિસ્તાર તેમની સરહદમાં આવે છે.
મંત્રલાયના નિવેદન મુજબ, વિદેશ સચિવ સ્તરની સંયુક્ત બેઠકમાં ભારત અને નેપાળની સરહદ સંબંધી મુદ્દાઓને સંબંધિત વિશેષજ્ઞોની મદદથી નિવારવાની જવાબદારી બંને દેશના વિદેશ સચિવોને સોંપવામાં આવી છે.
નેપાળ વિદેશ મંત્રાલયે કહ્યું છે કે નેપાળ સરકાર પોતાની આંતરરાષ્ટ્રીય સરહદની રક્ષા કરવાને લઇને પ્રતિબદ્ધ છે અને બંને મિત્ર દેશોએ કૂટનીતિક માધ્યમથી ઐતિહાસિક દસ્તાવેજો તેમજ પુરાવાના આધાર પર સંબંધિત વિવાદનો ઉકેલ લાવવાની જરૂરિયાત છે. જો કે કાઠમાંડૂ સ્થિત ભારતીય દુતાવાસ સાથે આ મામલે ટિપ્પણીને લઇને કોઇ સંપર્ક થઇ શક્યો નથી.
આ અગાઉ પાકિસ્તાને પણ બારતના નવા નકશાને લઇને વિરોધ દર્શાવ્યો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેઓ ગિલગિટ-બાલ્ટિસ્તાન અને તેના કબ્જા હેઠળના કાશ્મીર તેમજ અન્ય ભાગને ભારતીય અધિકાર ક્ષેત્રમાં દર્શાવનાર જમ્મૂ-કાશ્મીરના નવા રાજકીય નકશાનો વિરોધ કરે છે.