આજના વિશ્વ પર્યાવરણદિન નિમિત્તે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા મિલિયન ટ્રીઝ અભિયાનનો પ્રારંભ કરાયો હોઇ નારણપુરા ટેલિફોન એક્સચેન્જ પાસે, નવા વાડજ બસ સ્ટેશન સહિતના શહેરમાં ૪૭ પ્લોટમાં અર્બન ફોરેસ્ટ વિકસાવાશે.
તંત્ર દ્વારા જાપાનીઝ ટેક્નોલોજી મિયાંવાકીથી ૪૭ પ્લોટમાં ર.પ૭ લાખથી વધુ વૃક્ષારોપણ કરાશે. વૃક્ષારોપણ માટે નક્કી કરાયેલા ૪૭ પ્લોટમાં પ્રહ્લાદનગર ફાયર સ્ટેશનમાં, નારણપુરા ટેલિફોન એકસચેન્જ પાસે, નવા વાડજ બસ સ્ટેશન પાસે, ચીમનભાઇ પટેલબ્રિજ પાસે, નહેરુનગર એસ.ટી. બસ સ્ટેશન પાછળનો ભાગ, વિશ્વકર્મા કોલેજ પાછળ, અસારવા તળાવ, ઇન્દુલાલ યાજ્ઞિક ગાર્ડન, ઓર્નેટ પાર્ક-૧ની સામે સિંધુ ભવન રોડ, બોડકદેવના આમલીરોડ પાસેના કાલીબારી મંદિર, સરખેજ ગામની બાજુમાં અને ગ્યાસપુર એગ્રો ફોરેસ્ટ્રી સહિતનાં સ્થળોએ વૃક્ષારોપણ કરાશે. શહેરમાં પ્રથમ વાર અર્બન ફોરેસ્ટ વિકસાવવાનું અભિયાન હાથ ધરાયું છે.
આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ, બીઆરટીએસ, ગુજરાત યુનિવર્સિટી, નેશનલ હાઇવે, જીઆઇડીસી વગેરે વિસ્તાર મળીને આગામી ર૦ જૂનથી ૩૦ સપ્ટેમ્બર સુધી કુલ ૧૦.૯૦ લાખ વૃક્ષોનું વાવેતર કરાશે. અમદાવાદમાં લાંબા સમય પછી પહેલી વાર આટલો મોટો લક્ષ્યાંક નક્કી કરાયો છે, જોકે દર વર્ષે વૃક્ષારોપણ અભિયાન હેઠળ ૪૦ ટકાથી વધુ રોપા નિષ્ફળ નીવડે છે.