આતો કેવી વ્યવસ્થા? ઓમિક્રોન દર્દીને ત્યાં ટ્યુશન માટે જતા એક વિદ્યાર્થીનો ઓમિક્રોન રિપોર્ટ શંકાસ્પદ આવતા વાલીઓના શ્વાસ અધ્ધર !
જામગરમાં ઓમિક્રોનનો વધુ એક શંકાસ્પદ કેસ
એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ શંકાસ્પદ
ઓમિક્રોન સંક્રમિતના ઘરે વિદ્યાર્થી ટ્યુશન જતો હતો
જામનગરમાં ઓમિક્રોનનો વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. અગાઉ ઓમિક્રોનથી સંક્રમિત થયેલા થયેલા દર્દીને ત્યાં ટ્યુશન જતા સાત વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 1 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો હતો. બાકીના 6 વિદ્યાર્થીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, પોઝિટિવ આવેલા વિદ્યાર્થીના નમૂના લઈ પરિક્ષણ માટે મોકલી આપવામાં આવેલા છે. ઓમિક્રોનથી સંક્રમિત દર્દીની પત્ની અને સાળો પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.
જામનગર તંત્રની કામગીરી સામે સવાલ
ત્યારે તંત્રની કામગીરી સામે પણ સવાલો થઈ રહ્યા છે આખરે દર્દી હોમ કોરેન્ટાઈન હોવા છતાં કેવી બાળકો ટ્યુશન માટે જઈ શકે, કેમ વાલીઓને ટ્યુશન સંચાલકે કોઈ જાણ ન કરી, કેમ તંત્ર ઓમિક્રોન વેરિયન્ટના દર્દીને નિયમમાં રાખવામાં ગફલત ખાઈ ગયું, સવાલ અનેક છે અને પરિણામ એક જ છે કે જો બાળકો કોરોના પોઝિટિવ આવે તો જવાબદાર કોણ તંત્ર કે ટ્યુશન સંચાલક?
કાલે જાગૃત નાગરિકે કર્યો હતો પર્દાફાશ
જામનગર મનપાની ગંભીર બેદરકારી સામે આવી હતી.ઓમિક્રોન કેસ નોંધાયો હોવા છતાં મનપા ગંભીર દેખાતી નથી. જે ઘરમાં કેસ આવ્યો ત્યાં જ ટ્યૂશન ક્લાસ ચાલતા હતા. દર્દી પોઝિટિવ જાહેર થયો છતાં પણ ક્લાસ ચાલુ હતા. પોઝિટિવ આવ્યાના બે દિવસ સુધી ક્લાસ ચાલુ રહ્યાં હતા.કોર્પોરેટર જેનબ ખફીને ધ્યાને આવતા બાબત તંત્ર સુધી પહોંચી હતી. જે બાદ આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ટ્યૂશન આવતા 7 બાળકોને આઇડેન્ટિફાય કર્યા છે. અને ટ્યૂશન આવતા અન્ય બાળકોને શોધવા કવાયત હાથ ધરાઇ છે. ત્યારે ઓમિક્રોનથી સંક્રમિત દર્દીને ત્યાં ટ્યુશન ચાલતું હોવાથી આજે 1 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો છે. ઓમિક્રોન પોઝિટિવ છે કે નહીં તેને લઈને નમૂના લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો
ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેઈન ઓમિક્રોનની એન્ટ્રી થઇ ચૂકી છે. જામનગરના દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દી ઝિમ્વામ્બેથી ગુજરાત આવ્યા હતા. ગુજરાત આવ્યા બાદ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અને તેમના સેમ્પલ તપાસ માટે મોકલાયા હતા. દર્દીની જામનગર જી.જી.હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. આ અંગે નોડલ અધિકારીએ કહ્યું કે દર્દીની તબિયત એકદમ સારી છે. અને બે દિવસથી સતત સારવાર ચાલુ છે. 72 વર્ષિય દર્દીને વેક્સિના બંને ડોઝ લઇ લીધા છે. અને પરિવારના તમામ સભ્યોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીના સંપૂર્ણ રહેણાંક વિસ્તારને કન્ટેઇનમેન્ટ જાહેર કરાયો છે.
ઘોડા ભાગ્યા પછી તબેલે તાળા મારવા જેવી સ્થિતિ
જામનગરમાં ઓમીક્રોન વેરિયન્ટના ખતરનાક કોરોના કેસની એન્ટરીથી મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ થયું છે. વધુ ચેપી વાયરસ વધુ ન ફેલાય તે માટે તંત્રએ કડક અમલવારી શરૂ કરી છે. આજે એસ્ટેટ શાખા દ્રારા સાધના કોલોની વિસ્તારમાં ટીમો ઉતારવામાં આવી. જ્યાં ભરાતી ગુજરી બજારમાં સામાજિક અંતર નહી જળવાતું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને તંત્રએ શાકભાજી સહિત અન્ય માલસામાનની પાંચ રેકડીઓ અને માલસામાન જપ્ત કર્યો. સોશ્યલ ડિસ્ટનસની અમલવારી કરવા અનેક વખતના તંત્રના તાકીદ છતાં પણ નિયમનો ભંગ થતો હોવાથી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે.