એક સમયે પ્રતિબંધિત નક્સલી સંગઠનોને સૌથી વધુ નાણાકીય મદદ ઝારખંડથી મળતી હતી, પણ હવે ચિત્ર બદલાઈ ગયું છે. વધુ ખંડણી વસૂલવા નક્સલવાદીઓએ હવે બિહાર સહિતના ઉત્તર ભારતના અન્ય રાજ્યો પર નજર દોડાવી છે.
નક્સલીઓના અનેક એરિયા કમાન્ડર છેલ્લા ચાર વર્ષથી જેલમાં કેદ હતા. આ દરમિયાન તેમની ખંડણીની વસૂલી ઠપ થઈ ગઈ હતી, પરંતુ હવે તેઓ જામીન પર જેલમાંથી બહાર આવતા ચાર વર્ષની બાકી ખંડણી એક સાથે વસૂલી રહ્યા છે.
નક્સલીઓની આ માગણીથી વેપારીઓ ભયભીત છે અને જેમના પર સુરક્ષાની જવાબદારી છે તે સ્થાનિક પોલીસ નિષ્ક્રિય બની ગઈ છે. કેન્દ્રિય સુરક્ષાદળો એક તરફ બિહાર અને છત્તીસગઢમાંથી નક્સલીઓના સફાયા માટે મિશન જારી કરી રહ્યા છે ત્યારે બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં પોલીસ નક્સલીઓના ડરથી કાર્યવાહી કરતા પણ ખચકાઈ રહી છે.
મુઝફ્ફરપુર જિલ્લા અને તેની આસપાસના ઉત્તર-પૂર્વી ક્ષેત્રમાં સરહદી શિવહર અને સીતામઢીના વેપારીઓ હમણાથી ખૌફમાં જીવી રહ્યા છે. ઈંટ ભઠ્ઠાના સંચાલકો, પેટ્રોલપંપના માલિકો અને અન્ય વેપારીઓને નક્સલીઓના ધમકી ભરેલા પત્ર મળી રહ્યા છે, જેમાં તેમણે સાફ જણાવ્યું ચે કે, જો નક્કી કરેલી ખંડણીની રકમ આપવામાં નહીં આવે તો ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહો.
સ્ટેટ આઈબી અને સુરક્ષા એજન્સીઓને આ વાતની જાણ થતાં પોલીસને એલર્ટ કરવામાં આવી હતી, પણ સ્થાનિક વેપારીઓનો આક્ષેપ છે કે પોલીસ નક્સલીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાના બદલે ઉલટાની તેમના પર ફરિયાદ ન કરવા દબાણ કરી રહી છે.
નક્સલી સંગઠનોના એરિયા કમાન્ડર શિવહરના ઔરા મલિકાના ગામના લાલબાબુ સહની ઉર્ફે ભાસ્કર, સુખારી મહતો, ભુટ્ટા પટેલ, ઈસરાફિલ મિંયાં, વિજય પાસવાન ઉર્ફે કરણ ખંડણીની આ જાસાચિઠ્ઠી પાછળ જવાબદાર હોવાની વાત પણ સામે આવી છે.
નક્સલીઓએ વેપાર-ધંધાના નફાના પ્રમાણે ખંડણીની રકમ નક્કી કરી છે. ઈંટ ભઠ્ઠાના વેપારીઓને પ્રતિવર્ષ રૂપિયા 35 હજાર, પેટ્રોલપંપના માલિકોએ દર વર્ષે 40 હજારથી 60 હજાર રૂપિયા, કોન્ટ્રાક્ટરોએ તેમના કોન્ટ્રાક્ટના 10થી 20 ટકા રકમ આપવાની ધમકી આપવામાં આવી રહી છે. આ વાર્ષિક ખંડણીની ચાર ગણી રકમ એકસાથે ચૂકવવાની હોવાથી વેપારીઓ ડરમાં જીવી રહ્યા છે.