નવસારીના ગણદેવી તાલુકામાં આવેલુ મોવાસા ગામમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે. આમ હવે ઉનાળાની સીઝન આવતા ગ્રામજનો પરેશાન થયા છે. આ ગામમાં લોકોને દોઢ કિલોમીટર ચાલીને કુવા પાસે અથવા ટેન્કર મંગાવીને પાણી ભરવા માટે જવુ પડે છે. આ ગામમાં અઢી હજારથી વધુ લોકો વસે છે. અઢી હજાર વસ્તી ધરાવતા ગામમાં માત્ર એક જ કુવો છે.
ઉનાળાની સીઝનમાં કુવામાં પણ પાણી નથી. જેના કારણે સ્થાનિકો પરેશાન થયા છે. મળતી માહિતી મુજબ 8 વર્ષ પહેલા એક કરોડના ખર્ચે દેવધા ડેમનુ પાણી પાઈપલાઈનથી ગામમાં શરૂ કરવામાં આવ્યુ. જોકે વારંવાર પાઈપલાઈનમાં લીકેજ થવાના કારણે લોકોને ટેન્કર મંગાવીને પાણી લેવુ પડી રહ્યુ છે.
ગામમાં પાણી આવે તે માટે મનરેગા યોજના હેઠળ સિમેન્ટ કોન્ક્રીટનું તળાવ બનાવવામા આવ્યુ છે. જેમા પણ ખારુ પાણી આવતા નિષ્ફળતા મળી છે. જોકે હવે નહેરનું પાણી કેનાલમાં છોડવામાં આવે તો ગ્રામજનોની પાણીની સમસ્યાનો નિકાલ આવી શકે છે. મહત્વનું છે કે, હેન્ડપંપ અને બોરના પાણી પણ સુકાઇ રહ્યાં છે, પરંતુ સરકાર પાણી પહોંચાડી શકતી ન હોવાથી લોકોને પાણી માટે સહન કરવાનો વારો આવ્યો છે.