હટિયા- રાઉરકેલા પેસેન્જર ટ્રેન એક દુર્ઘટનાથી બચી છે. આ સાથે તેમાં સવાર 84 યાત્રીઓ પણ બચ્યા છે. મોડી રાતે કનારોંવા રેલ્વે સ્ટેશનની પાસે પાટા પરથી ઉતરીને ટ્રેનનું એન્જિન દેવ નદી તરફ લટક્યું. ટ્રેનની ગતિ ધીમી હોવાના કારણે સાતમાંથી એક પણ બોગી પાટા પરથી ઉતરી નથી અને મોટી દુર્ઘટના ટળી છે. આ ઘટના બુધવાર રાતે 8.20 મિનિટે બની હતી.
મુસાફરોને કોઈ નુકસાન થયું નથી
રાંચી રેલ્વે મંડળ તરફથી મળતી માહિતી અનુસાર બાનો રેલ્વે સ્ટેશન બાદ કનારોંવા રેલ્વે સ્ટેશનથી હટિયા- રાઉરકેલા પેસેન્જર ટ્રેન રવાના થયા બાદ આ ઘટના બની હતી. તેઓએ કહ્યું કે ઘટના કયા કારણે બની તે જાણી શકાયું નથી, પણ સારી વાત એ છે કે ટ્રેનની ગતિ ઓછી હોવાના કારણે કોચ પાટા પરથી ઉતર્યા ન હતા અને મુસાફરોને કોઈ નુકસાન થયું નથી. આ ટ્રેન હટિયા સ્ટેશનથી સાંજના સમયે રાઉરકેલા માટે રવાના થઈ હતી.
ટ્રેનમાં કુલ 84 મુસાફરો હતા
દુર્ઘટનામાં ટ્રેનના ચાલક સહિત તમામ 84 પેસેન્જર્સના જીવ બચ્યા છે. દુર્ઘટના સ્થળ પર અધિકારીઓ પહોંચ્યા છે અને ઘટના કઈ રીતે બની તેની પણ તપાસ થઈ રહી છે. તમામ યાત્રીઓ સ્ટેશન પર રોકાયા છે. આ પછી આ ટ્રેનની 6 બોગી અને 84 મુસાફરોને એક અન્ય એન્જિન સાથે જોડીને રવાના કરવામાં આવી છે.