સરદાર સરોવર નર્મદા ડેમનું જળસ્તર ઐતિહાસિક સપાટીએ પહોંચી છે. નર્મદા ડેમની સપાટી હાલ 133.70 મીટરે પહોંચી ગઇ છે. ઉપરવાસમાંથી 4 લાખ 6 હજાર 792 ક્યુસેક પાણીની આવક છે જેને લઇ નર્મદા ડેમના 15 દરવાજાને ખોલી દેવાયા છે. નદીમાં પાણી છોડવામાં આવતા હાલ નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. જ્યારે કેવડિયાનો ગોરા બ્રિજ પણ ફરી વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો છે.
તાપીના ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. હાલમાં ડેમમાં 1 લાખ 11 હજાર 502 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવક થતા ડેમની સપાટી વધીને 336.14 ફૂટે પહોચી છે. આમ ઉકાઇ ડેમમાંથી 1 લાખ 11 હજાર 502 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. પાણીની આવક થતા ડેમના 10 ગેટ 5 ફૂટ ખોલવામાં આવ્યા છે.
આ અગાઉ મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદ અને ઈન્દિરાસાગર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે નર્મદા ડેમની જળસપાટી 133.39 મીટરે પહોંચી હતી. ભારે વરસાદ બાદ ઉપરવાસમાંથી 80 હજાર 948 ક્યુસેક પાણીની આવક થઈ હતી. જ્યારે ડેમમાંથી નર્મદા નદીમાં 80 હજાર 695 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે નર્મદા નદી બે કાંઠે વહી રહી હતી. જેને લઇને શનિવારે પણ કેવડિયા કોલોની પાસે આવેલો ગોરા બ્રિજ હજુ પાણીમાં ડૂબી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસથી સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સતત આવક જોવા મળી રહી છે, જેના કારણે ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. ગઇકાલે ઉપરવાસમાંતી 1 લાખ 24 હજાર 487 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની જળસપાટી 133.33 મીટરે જોવા મળી હતી. જેના કારણે ડેમના 10 દરવાજા ખોલી નાંખવામાં આવ્યાં હતા. જેને લઇને ડેમમાંથી 1 લાખ 24 હજાર 784 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું.
આ અગાઉ 21મી તારીખે પણ ઉપરવાસમાંથી 2 લાખ 29 હજાર ક્યુસેક પાણીની આવક જોવા મળી હતી. જેને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 133.08 પર પહોંચી ગઇ હતી. જ્યારે ડેમમાંથી 1 લાખ 79 હજાર ક્યૂસેટ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું. પાણીની આવકને લઇને રીવર બેડ પાવર હાઉસના 200 મેગાવોટની ક્ષમતા વાળા 6 ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યાં હતા. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસના 50 મેગાવોટની ક્ષમતાવાળા ટર્બાઇન અગાઉથી જ ચાલુ હતા. જેમાં 24 કલાકમાં 29.5 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે. આમ મધ્યપ્રદેશના ઈન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડવાના કારણે નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.