ગુજરાત બહાર નરેશ પટેલ અને પ્રશાંત કિશોર વચ્ચે થઇ બેઠક
એક તરફ નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે કેમ તેમાં બંધ બાજીએ રમી રહ્યા છે તો બીજી તરફ જો જોડાશે તો કઈ પાર્ટીમાં જોડાશે તે અત્યાર સુધી સસ્પેન્સ બની રહ્યું છે. ત્યારે નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની વાતને લઇ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રશાંત કિશોરની એન્ટ્રીથી નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી નક્કી જેવી જ લાગી રહી છે.
નરેશ પટેલ અને પ્રશાંત કિશોરની એક સાથે કોંગ્રેસમાં એન્ટ્રી નક્કી: સૂત્રો
મળતી માહિતી અનુસાર નરેશ પટેલ અને પ્રશાંત કિશોરની બેઠક થઈ ગઈ છે. નરેશ પટેલે કોંગ્રેસમાં જોડાવાની એક શરત મૂકી છે કે પ્રશાંત કિશોરને કેમ્પેઇનિંગ સોંપવામાં આવે. ગુજરાત બહાર બંને વચ્ચે સમગ્ર રણનીતિ મામલે બેઠક પણ થઈ ગઈ છે. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના નેતાઓની દિલ્લીમાં રાહુલ ગાંધીને મળી ચૂક્યા છે. જેમાં પ્રશાંત કિશોરને ગુજરાતના ચૂંટણી પ્રચારના કેમ્પેઇનિંગની જવાબદારી સોંપવામાં આવે તેવી બાબતે પણ ચર્ચા થઈ છે. નરેશ પટેલ અને પ્રશાંત કિશોરની એક સાથે ગુજરાત કોંગ્રેસમાં એન્ટ્રી થશે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.
પ્રશાંત કિશોર ગુજરાતમાં વિનામૂલ્યે કે કોઇ પણ પદ વગર કામ કરવા તૈયારઃ વરિષ્ઠ પત્રકાર
દિલ્હીના વરિષ્ઠ પત્રકાર આદેશ રાવલે કોંગ્રેસની મિટિંગ વિશે કેટલાક ખુલાસા કર્યા છે. આદેશ રાવલે જણાવ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોર કોંગ્રેસ માટે કામ કરવા તૈયાર છે. કોઇ શરત વગર પ્રશાંત કિશોર કામ કરવા માટે તૈયાર છે. જો કોંગ્રેસ તૈયારી બતાવશે તો પ્રશાંત કિશોર કોઇ ફી પણ નહીં વસૂલે. ત્યારે હાલ પ્રશાંત કિશોર માટે ગુજરાત પ્રભારી અને પ્રદેશ પ્રમુખ વિચાર કરી રહ્યાં છે. રાહુલ ગાંધીએ ગુજરાત પ્રદેશ પ્રમુખ પર મામલો છોડ્યો છે.
અત્યારે રણનીતિ નહિ કરીએ જાહેર, નો કોમેન્ટઃ જગદીશ ઠાકોર
પ્રશાંત કિશોરની ગુજરાત કોંગ્રેસના કેમ્પઇનિંગમાં એન્ટ્રીને લઇ પ્રશ્નાર્થ સર્જાઇ રહ્યા છે. તો આ સમગ્ર મામલે જગદીશ ઠાકોર ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. VTV ન્યુઝના સંવાદદાતાએ જગદીશ ઠાકોરને સવાલ કર્યો હતો કે પ્રશાંત કિશોર મામલે દિલ્હી બેઠકમાં શું ચર્ચા થઇ ? આના જવાબમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે, અત્યારે રણનીતિ નહિ કરીએ જાહેર, નો કોમેન્ટ.
ત્યારે કેટલાક સવાલ સર્જાઇ રહ્યા છે કે, શું આ ભાજપના ગઢમાં કોંગ્રેસનો માસ્ટરસ્ટોક ? દિગ્ગજો સામે "કિશોર" રણનીતિકાર ? પ્રશાંત કિશોરને ગુજરાતમાં કેમ રસ ? ભાજપના ગઢના કાંગરા ખેરવવામાં PK આતુર કેમ ? કોંગ્રેસના રણનીતિકાર બનશે પ્રશાંત કિશોર? કોંગ્રેસને મળશે PKનું માર્ગદર્શન? પ્રશાંત કિશોરને લઇને શું ચર્ચા થઇ?
હાઇકમાન્ડ જલ્દી પોઝિટિવ થાય તેવી લાગણી CM અશોક ગેહલોત પાસે વ્યક્ત કરી: પાટીદાર MLA, કોંગ્રેસ
3 દિવસ પહેલા પાટીદાર ધારાસભ્યોના એક જૂથે રાજસ્થાન CM અશોક ગેહલોત સાથે કરી મુલાકાત કરી હતી. નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી કરાવવા બાબતે ગુજરાત કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો હવે મેદાનમાં આવી ગયા છે. ગુજરાતની ભાજપ સરકારે પાટીદાર અનામત આંદોલનના 10 જેટલા કેસ આજે પરત ખેંચ્યા છે જેથી નરેશ પટેલ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ પ્રબળ સેવાઇ રહી છે. જેથી કોંગ્રેસના પાટીદાર નેતાઑ નરેશ પટેલ મામલે હાઇકમાન્ડ જલ્દી પોઝિટિવ થાય તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
નરેશ પટેલ હજુ સુધી કોઈ પાર્ટીમાં જોડાયા નથી
ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ તરફથી હજુ સુધી કઈ પાર્ટીમાં જોડાવાના છે તેની કોઈ સ્પષ્ટ જાહેરાત નથી થઈ. નરેશ પટેલે કહ્યું હતું કે રાજકારણમાં જોડાવાનો હજુ સુધી કોઈ નિર્ણય નથી લીધો. પણ હા સમાજને પૂછીને કોઈ નિર્ણય લેવામાં આવશે. હાલતો ગુજરાતની રાજનીતિમાં નરેશ પટેલ 'કોની સાથે'ની ચર્ચા થઇ રહી છે. જોકે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એવું કહી રહ્યા છે કે તેમનો અંગત નિર્ણય છે. જોકે તમામ પક્ષો તેમને પોતાના પક્ષમાં લેવાના અથાક પ્રયત્નો કરી રહ્યા છે.