ચાર પડોશી દેશ પાકિસ્તાન, મ્યાનમાર, નેપાળ અને થાઈલેન્ડમાં અશાંતિનો માહોલઃ સત્તારૂઢ લોકો સામે ભયાનક રોષે ભરાયેલી પ્રજા રસ્તાઓ પર ઊતરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહી છે
ભારતના પડોશી દેશોમાં ભારેલો અગ્નિ
પાકિસ્તાનમાં મોંઘવારીએ મુકી માઝા
મ્યાનમાર સરકાર સામે જનાક્રોશ
ભારતના ચાર પડોશી અને સૌથી વધુ નજીકના દેશ પાકિસ્તાન, મ્યાનમાર, નેપાળ અને થાઈલેન્ડ છેલ્લા થોડા સમયથી અશાંતિની ઝપટમાં આવી ગયા છે. આ દેશોમાં સત્તારૂઢ લોકોમાં જેમ-જેમ નિરંકુશતા અને સ્વાર્થલોલુપતા વધી રહ્યા છે તેમ તેમ ત્યાંના સ્થાનિક લોકોમાં ભયંકર અસંતોષ પેદા થઈ રહ્યો છે અને તેઓ આંદોલનની રાહ પર ચાલી નીકળ્યા છે.
પાકિસ્તાનમાં મોંઘવારીએ માજા મુકી
પાકિસ્તાનની વાત કરીએ તો ત્યાં આમ આદમીની કમર તોડી નાખે એવી કારમી મોંઘવારી, દરેક ક્ષેત્રમાં ઊંડે સુધી ઘર કરી ગયેલો ભ્રષ્ટાચાર, સતત વધતી જતી ગેરકાયદે પ્રવૃત્તિઓ, અલ્પસંખ્યકો અને ખાસ તો હિન્દુઓ પર અત્યાચાર વગેરે સમસ્યાઓ વિરુદ્ધ પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ- પી.એમ.એલ.(એન) અને પૂર્વ વડાં પ્રધાન બેનઝીર ભુટ્ટોની પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) સહિત દેશના ૧૧ વિરોધપક્ષોએ વડા પ્રધાન ઈમરાન ખાન સામે જોરદાર અભિયાન છેડ્યું છે અને તેઓ રસ્તા પર ઊતર્યા છે.
પાકિસ્તાનના લોકોમાં સત્તાધીશો સામે રોષ
પાકિસ્તાનના લોકોમાં સત્તાધીશો સામે એ હદે આક્રોશ છે કે ઉશ્કેરાયેલા લોકોનાં ટોળાંએ થોડા સમય પહેલા પૂર્વ સેનાધ્યક્ષ જનરલ બાજવાના એક સંબંધીના કરાચી સ્થિત શોપિંગ મોલમાં લૂંટ કરીને તેને આગ પણ ચાંપી દીધી હતી. જોકે ઈમરાન ખાને વિપક્ષો દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવમાં વિજય મેળવ્યો છે, પરંતુ એ કહેવું ખૂબ મુશ્કેલ છે કે તેમની સરકાર ક્યાં સુધી ટકશે?
મ્યાનમારમાં પણ સ્થિતિ બેકાબૂ
એ જ રીતે અન્ય એક પડોશી દેશ મ્યાનમારની સેનાની તાનાશાહીથી આઝાદી માટે છેલ્લા ઘણા સમયથી આંદોલન પરાકાષ્ઠાએ છે. ત્યાં સેના દ્વારા ૧ ફેબ્રુઆરીએ સત્તાપલટા બાદ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા નેતા આંગ-સાન-સૂ-કી સહિતના અન્ય નેતાઓને જેલમાં કેદ કરવાની વિરુદ્ધ ભડકી ઊઠેલા આંદોલનમાં અત્યાર સુધીમાં અંદાજે ૨૫૦ લોકોનાં મોત થયાના અહેવાલો છે. મ્યાનમારના જાહેરમાર્ગો હાલ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયા છે.૧૯૪૮માં અંગ્રેજોની ગુલામીથી આઝાદ થયા બાદ પણ ત્યાંના લોકોને ખરા અર્થમાં આઝાદી નથી મળી અને ત્યારથી જ તેઓ મોટાભાગના સમય સુધી સૈન્ય શાસનના ગુલામ જ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ૧૯૬૨માં જનરલ ને-વિને વિન મોંગની સરકારનો સત્તાપલટો કરીને સત્તા પર કબજે જમાવી દીધો હતો અને તેના તઘલગી નિર્ણયોના કારણે જ મ્યાનમાર દુનિયાના સૌથી ગરીબ દેશોની યાદીમાં સામેલ થયું હતું.
૧૯૮૮માં ને-વિનની સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓએ વિદ્રોહ કર્યો અને આ આંદોલનમાં જ આંગ-સાન-સૂ-કી મજબૂત નેતા બનીને ઊભર્યા. જનરલ ને-વિન બાદ ‘રંગૂનના કસાઈ’ તરીકે કુખ્યાત જનરલ સીન લ્વિને સત્તા સંભાળી, પરંતુ ૧૭ દિવસ બાદ જ ને-વિને સત્તાપલટો કરીને પુનઃ સત્તા છિનવી લીધી અને ત્યારબાદ તે ૨૦ વર્ષ સુધી સત્તારૂઢ રહ્યો. મ્યાનમારમાં ૨૦૧૫માં ચૂંટણીઓ યોજાઈ અને આંગ-સાન-સૂ-કીને રાષ્ટ્રપતિ હતિ ક્વાની સરકારમાં સ્ટેટ કાઉન્સિલર બનાવાયાં. સૈનિક દમન વિરુદ્ધ મ્યાનમારની સાથે પડોશી દેશોમાં રહેનારા લોકો દ્વારા પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે.
નેપાળમાં પણ સરકાર વિરુદ્ધ જનાક્રોશ
મ્યાનમારની સાથે બીજા પડોશી દેશ નેપાળમાં પણ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી કમ્યુનિસ્ટ સરકાર વિરુદ્ધ જનાક્રોશ ફાટી નીકળ્યો છે અને જનતા રાજતંત્ર તથા હિન્દુરાજની બહાલી માટે આંદોલન કરી રહી છે. વડા પ્રધાન કે.પી.શર્મા ઓલીની સરકારની નિષ્ફળતાઓથી દેશનો યુવા વર્ગ નિરાશ છે, કેમ કે દેશમાં રાજતંત્રની સમાપ્તિ બાદ પણ કોઈ વિકાસ નથી થયો. નેપાળે ૨૦૧૫માં નવું બંધારણ અપનાવ્યું અને ત્યારબાદ નેપાળી કમ્યુનિસ્ટ પાર્ટીના કે.પી.શર્મા ઓલી વડા પ્રધાન બન્યા હતા.
અન્ય એક એશિયાઈ દેશ થાઈલેન્ડમાં પણ રાજાશાહીના વિરોધમાં અને દેશમાં લોકતંત્રની બહાલીની માગ સાથે હજારો લોકો રસ્તા પર ઊતર્યા છે. પોલીસ પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ટિયરગેસ અને વોટર કેનનનો ઉપયોગ કરી રહી છે, પણ ઉગ્ર પ્રદર્શનો અટકતાં નથી. ભારતના ચાર પડોશી દેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હોવાથી આપણી સરકાર સતર્ક બની ગઈ છે. ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ રાઉન્ડ ધ ક્લોક આ ચારેય દેશની સ્થિતિ પર નજર રાખી રહી છે. •