અરવલ્લીના ઇસરી પોલીસ મથક વિસ્તારના મોટી મોરી ગામેથી ખેતરમાંથી મળેલા મૃતદેહ બાદ હત્યાની ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં બે સગા ભાઈઓની આરોપીઓ તરીકે ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા. જો કે, 5 મહિના બાદ મૃતક યુવક વતન પરત આવતા ચકચાર મચી જવા પામી છે. ખરેખર જો મૃતક જીવે છે તો અંતિમવિધિ કરાયેલો મૃતદેહ કોનો? સાથે સાથે આરોપીઓએ હત્યા કર્યાનું કઇ રીતે કબુલ્યું તે અંગે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
મેઘરજના મોટી મોરી ગામે હત્યા કેસમાં નવો વળાંક
6 ફેબ્રુઆરીએ યુવકનો મૃતદેહ મળતા શરૂ કરી હતી તપાસ
મૃતદેહની ઓળખ કરેલો યુવક વતનમાં પરત ફર્યો
અરવલ્લીના મેઘરજના મોટી મોરી ગામે હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. મૃતદેહની ઓળખ કરેલો યુવક 5 મહિના બાદ વતનમાં પરત ફર્યો છે. 6 ફેબ્રુઆરીએ યુવકનો મૃતદેહ મળતા તપાસ શરૂ કરી હતી. 6 ફેબ્રુઆરીએ ખેતરમાંથી ચાદરમાં વિટેલો મૃતદેહ મળ્યો હતો. તેની ઈશ્વર મનાત નામના વ્યક્તિ તરીકે ઓળખ કરી હતી. યુવકના સસરાએ મૃતદેહની ઓળખ કરી હતી. આ અંગે ઇસરી પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસે ઈશ્વરની હત્યાના ગુનામાં ઇશ્વરના બંને ભાઇની ધરપકડ કરી હતી. હજુ પણ ઈશ્વર મનાતના બંને ભાઈઓ જેલમાં કેદ છે. ઈશ્વરના પરિવારજનોએ અંતિમવિધિ મૃતદેહના કર્યા હતા. જેલમાં બંધ બંને ભાઈઓ હત્યાની કબૂલાત કરી ચૂક્યા છે.
અરવલ્લીના ઇસરી પોલીસ મથક હેઠળના રાજસ્થાન સરહદે આવેલ મોટી મોરી ગામે ગત 6 ફેબ્રુઆરીના રોજ ખેતર પાસે એક યુવકનો મૃતદેહ ચાદરમાં લપેટલ હાલતમાં મળી આવ્યો હતો. જે બાબતે શરૂઆતમાં પોલીસે અજાણ્યા યુવક સમજી અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. તેને મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો હતો. પરંતુ જે તે વખતે આ મૃતક યુવકના હાથે લખેલ લખાણ અને જમણા પગમાં સળીયો નાખેલ હોવાની ઓળખ કરી આ મૃતદેહ રાજસ્થાનના રાસતાપાલ ગામના ઈશ્વર મનાતનો હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર બાબતે ઇસરી પોલીસે મૃતકના સગા ભાઈઓને હત્યાના આરોપી બનાવી મૃતદેહની અંતિમવિધિ કરી બંને સગા ભાઈઓને જેલમાં ધકેલી દઈ સમગ્ર બાબતે પડદો પાડી દીધો હતો.
પરંતુ આ ઘટનાના 5 મહિના બાદ મૃતક ઈશ્વર મનાત પોતાના વતન પરત ફરતા ઘરના સદસ્યો પણ ઘડીક વિચારમાં પડી ગયા અને સમગ્ર ઘટનામાં એક નવો જ વળાંક આવ્યો હતો. ત્યારે ખરેખર જો ઈશ્વર મનાતની હત્યા નહોતી થઈ તો એ મૃતદેહ કોનો હતો? પોલીસે મૃતક ઈશ્વર મનાતના ભાઈઓને દબાણ કરીને હત્યા કર્યું હોવાનું કબૂલ્યું હતું કે કેમ?