વડોદરામાં મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકી છે. અહીયા ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના કેસ એટલા વધી ગયા છે કે હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડ પણ ખૂટી ગયા છે.
વડોદરામાં મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ
હોસ્પિટલમાં દર્દીઓ માટે બેડ ખૂટ્યા
જમીન પર સુવડાવી દર્દીઓને સારવાર આપવામાં આવી
ગુજરાતમાં એક તરફ કોરોનાએ માઝા મુકી છે. લોકો પહેલાથી ત્રીજી લહેરના ભય વચ્ચે જીવી રહ્યા છે. ત્યારે આવા સમયે વડોદરા શહેરમાં મચ્છર જન્ય રોગચાળો ફેલાયો છે. જેના કારણે શહેરીજનોની ચીંતામાં વધારો થયો છે.
ઝાડા ઉલ્ટી અને તાવના કેસ વધ્યા
વડોદરામાં રોગચાળો એટલી હદે ફેલાયો છે કે હોસ્પિટલોમાં બેડ ખૂટી ગયા છે. દર્દીઓને બેડ ન મળતા તેમને જમીન પર સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલોમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા તાવ અને ઝાડા ઉલ્ટીના કેસ વધ્યા છે. જેના કારણે લોકોમાં ત્રીજી લહેરની સાથે સાથે આ મચ્છરજન્ય રોગચાળાનો ભય જોવા મળી રહ્યો છે.
ડેન્ગ્યુના 778 અને તાવના 431 કેસ નોંધાયા
આપને જણાવી દઈએ કે વડોદરામાં ડેન્ગ્યુના 778 તો તાવના 431 જેટલા કેસ નોંધાયા છે. સાથેજ ચિકનગુનિયા કેસમાં પણ અહિયા 9 જેટલા નોંધાયા છે. સાથેજ ઝાડાના પણ 54થી વધારે કેસ નોંધાયા છે.
શહેરીજનોમાં ભયનો માહોલ
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે ઝાડા ઉલ્ટી અને તાવના કુલ 10,136 જેટલા કેસ નોંધાયા છે. જેના કારણે શહેરીજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બીજી તરફ વધતા જતા આ રોગચાળાને કારણે સ્વાસ્થ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું છે.