કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) ની લાભાર્થી ગર્ભવતી મહિલાઓને મોટી ભેટ આપી છે. હવે સરકાર ઇએસઆઇસીના નેટવર્કથી બહારની હોસ્પિટલોમાં સારવાર કરાવનારી લાભાર્થી મહિલાઓને 50 ટકા વધારે રકમ આપશે.
સરકારે ગર્ભવતી મહિલાઓને ચૂકવાતા પ્રસૂતિ ખર્ચને વધારી 7,500 રૂપિયા કર્યો
હાલ ગર્ભવતી મહિલાઓને પ્રસૂતિ ખર્ચ માટે 5,000 રૂપિયા આપવામાં આવે છે
આ ફાયદો માત્ર કર્મચારી રાજ્ય વીમા નિગમની લાભાર્થી મહિલાઓને મળશે
સરકારે ગર્ભવતી મહિલાઓને ચૂકવવામાં આવતા પ્રસૂતિ ખર્ચને વધારીને 7,500 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે. હાલ આ રકમ 5,000 રૂપિયા છે. જોકે, તેનો ફાયદો માત્ર એ મહિલાઓને મળશે જે કર્મચારી રાજ્ય વીમા નિગમના લાભાર્થી છે.
શ્રમ મંત્રી સંતોષ ગંગવારની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં બતાવી દઇએ કે, જીવન નિર્વાહ ખર્ચમાં સતત વધારો થવાને પગલે પ્રેગ્નનેન્ટ મહિલાઓ માટે 5,000 રૂપિયાની રકમ સામાન્ય લાગી રહી હતી.
આ જ કારણ છે કે, સરકારે આ વધારાનું એલાન કરતા જીવન નિર્વાહ ખર્ચનો ઉલ્લેખ કર્યો છે. સરકાર અનુસાર, આ કારણને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રસૂતિ ખર્ચ એ લાભાર્થી મહિલાઓને આપવામાં આવે છે જે ઇએસઆઇસી નેટવર્કની હોસ્પિટલ સુધી પહોંચ ન હોવાને કારણે અન્ય હોસ્પિટલોમાં માતૃત્વ સેવાઓનો લાભ ઉઠાવે છે.
વર્તમાન સમયમાં દેશભરમાં ઇએસઆઇસીના 150થી વધારે હોસ્પિટલ છે. આ હોસ્પિટલોમાં સામાન્યથી લઇને ગંભીર બીમારીઓની સારવારની સુવિધા ઉપલબ્ધ છે.