કંઈક બહુ મોટું થવા જઈ રહ્યું છે તેનો વિશ્વાસ તો બધાંને હતો જ, પરંતુ શું થવાનું છે તેનો અંદાજ કોઈને પણ નહોતો. દેશના તમામ લોકોએ સંભાવનાઓના અશ્વ અનુમાનોની સડકો પર પુરઝડપે દોડાવ્યા હતા પણ ભાગ્યે જ કોઈ વિચારી શકતું હતું કે સરકાર કાશ્મીરમાંથી કલમ-૩૭૦નો ખાતમો કરવા જઈ રહી છે.
છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર દેશમાં ચાલી રહેલી અટકળો અને ઊહાપોહનો ઓચિંતો અંત આવી ગયો છે અને ભારતીય બંધારણની કલમ-૩૭૦ના મોટા ભાગના હિસ્સાને ખતમ કરીને જે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા તેનાથી કાશ્મીર અને બાકીના ભારત વચ્ચે સંબંધોની જે ખીણ હતી તે પુરાઈ ગઈ છે. છેલ્લાં ૭૦ વર્ષથી આ તિરાડ કાશ્મીરને દેશથી અલગ રાખતી આવી હતી.
જમ્મુ-કાશ્મીરને કલમ-૩૭૦ અને ૩પ-એમાંથી ભલે આઝાદી મળી ગઈ હોય, પરંતુ દાયકાઓની હિંસાએ આ પ્રદેશમાં એક ખાલીપો ઊભો કર્યો છે. આ ખાલીપામાં અલગતાવાદીઓ અને પાકિસ્તાન તરફી તત્ત્વોએ કબજો જમાવવાની કોશિશ પણ કરેલી છે. મુખ્યધારાના રાજકીય પક્ષો પણ તેમની જ ભાષા બોલતા થયા હોવાથી આ તત્ત્વો આવી હિંમત કરી શક્યાં હતાં.
જમ્મુ-કાશ્મીરનો આ ખાલીપો ભરવાનો સૌથી મોટો પડકાર હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સામે ઊભો છે. અલગતાવાદીઓના પ્રભાવમાં આવ્યા વગર મજબૂત રહીને કામ કરી શકે તેવો રાજનૈતિક વિકલ્પ આપવાની જવાબદારી પણ હવે સરકારની જ રહેશે. સુશાસન અને શાંતિ સ્થાપિત કરવાની સાથે-સાથે સરકારે કાશ્મીરના યુવાનો માટે રોજગારી-નોકરીનું પણ સર્જન કરવાનું રહેશે. સ્થાનિક લોકો વચ્ચે સદ્ભાવના જળવાઈ રહે તે પણ જોવાનું રહેશે.
કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બની જાય ત્યારબાદ સેના, અર્ધસૈનિક દળો અને ખાસ કરીને રાજ્યની પોલીસ સમક્ષ સુરક્ષાના પડકારો સામે લડવાની પર્યાપ્ત તાકાત આવી જશે. સેના અને પોલીસતંત્ર મજબૂત બનવાથી તેનો કોઈ દુરુપયોગ પણ નહીં કરી શકે.
જમ્મુ અને કાશ્મીર રાજ્યના પુનર્ગઠન બાદ હવે અસલી પડકારો અને મુદ્દાઓની લડાઈ શરૂ થવાની છે. પુનર્વાસ, સૌહાર્દ, સુરક્ષા અને પીઓકે તેમાંના મુખ્ય પડકારો રહેશે તે પણ નક્કી છે. હવે કોઈ અલગતાવાદી, આતંકવાદ કે દુશ્મન દેશ પાકિસ્તાન સમર્થિત નેતા પોલીસ પર પોતાનું જોર ચલાવી નહીં શકે અને ફોર્સનું નૈતિક મનોબળ ખૂબ મજબૂત બનશે.
કાશ્મીરમાં ખાનગી ક્ષેત્રે ભારતીય ઉદ્યોગપતિઓને ઉદ્યોગો સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવા પડશે અને તેમના માટે સબસિડીની નવી જોગવાઈઓ પણ ઊભી કરવી પડશે. ભારત સરકાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના મુદ્દે જે રીતે ગંભીર અને સંવેદનશીલ છે તે જોતાં લાગી રહ્યું છે કે આગામી પાંચ વર્ષમાં કાશ્મીરમાં શાંતિ અને સુરક્ષા સાથે જોડાયેલા તમામ પ્રશ્ન સુખરૂપ ઉકેલાઈ જશે અને સંપૂર્ણ ક્ષેત્ર વિકાસના માર્ગ પર આગેકૂચ કરતું હશે.
આ ભગીરથ કાર્ય માટે સૌથી પહેલાં તો કાશ્મીરના સ્થાનિક લોકોમાં એવો ભરોસો ઉત્પન્ન કરવો પડશે કે તેમના કલ્યાણ, સુખાકારી અને ભલાઈ માટે જ આ તમામ પગલાં ભરવામાં આવી રહ્યાં છે. દેશના બાકીના ભાગમાં વસતા લોકોએ પણ કાશ્મીરીઓ સાથે સંવેદનશીલ રહેવું પડશે.
જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી વિવાદિત કલમ-૩૭૦ હટાવ્યા બાદ પ્રથમ વખત રાષ્ટ્રને સંબોધિત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક દાવા અને વાયદા કર્યા હતા, જે પરિપૂર્ણ કરવા એ હવે સરકારની નૈતિક ફરજ બની રહેવાની છે. પીએમ મોદીએ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી, આઈટી, ટૂરિઝમ, હર્બલ અને સ્પોર્ટ્સ ક્ષેત્રે કાશ્મીરમાં રોકાણ લાવવાની વાત કરી છે, જેનાથી કાશ્મીરી યુવાઓને પૂરતી રોજગારી મળી રહે.
ખુદ વડા પ્રધાન પણ સારી રીતે સમજે છે કે કલમ-૩૭૦ હટાવવાનો ફેંસલો જેટલો મોટો છે એટલી જ સરકારની કાશ્મીર પ્રત્યેની જવાબદારીઓ પણ મોટી છે. તમામ પૂર્વગ્રહ છોડીને કાશ્મીરની પ્રજા સુધી કલ્યાણ અને સુખાકારીનાં સાધનો પહોંચાડવા સિવાય અન્ય કોઈ વાતને પ્રાધાન્ય આપવું જોઈએ નહીં.
કાશ્મીરની વાદીઓમાં બંદૂક અને હિંસાની ખેતી કરી રહેલા આતંકવાદીઓનો સંપૂર્ણ ખાતમો થાય તે પણ બહુ જરૂરી છે. રાહ ભટકેલા કાશ્મીરી યુવાનોને ફરીથી મુખ્યધારામાં લાવવા માટે જતનપૂર્વક પ્રયત્ન પણ કરવાના રહેશે. વિકાસની દોડમાં સાવ પાછળ રહી ગયેલા કાશ્મીર અને કાશ્મીરની જનતાને અહેસાસ કરાવવો પડશે કે તેઓ પણ દેશનો અભિન્ન હિસ્સો છે.
આ કામ માત્ર સરકારનું નથી પણ તેમાં દેશના તમામ લોકોએ પણ બનતો સાથ-સહકાર આપવો પડશે. એક વાત આપણે સૌએ યાદ રાખવી પડશે કે કાશ્મીર એ ભારતનું મસ્તક છે અને આ મસ્તક સદા ઊંચું રહે તે જોવાની જવાબદારી ફક્ત કાશ્મીરના લોકોની જ નહીં પણ આપણા સૌની છે. દેવોની આ ભૂમિને ફરીથી સ્વર્ગ બનાવવાનો આ સૌથી યોગ્ય
સમય છે.