મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં વ્યાજે નાણાં ધિરતા વ્યાજખોરો મહિને 300 ટકા સુધીનું વ્યાજ વસૂલે છે. ઉત્તર ગુજરાતમાં વ્યાજખોરોથી કંટાળીને અનેક વ્યક્તિઓએ આપઘાતના પગલા ભર્યા છે. ત્યારે 3 વર્ષ અગાઉ યુવકની આત્મહત્યા મામલે મહેસાણા સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.
3 વર્ષ અગાઉ યુવકે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હતી. જે મામલે મહેસાણા સેશન્સ કોર્ટે ચુકાદો આપતા આખજ ગામના 12 વ્યાજખોરોને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને સજા ફટકારવામાં આવી છે. 306 મુજબ 10 વર્ષની સજા અને મની લોન્ડરિંગમાં 33 માસની સજા ફટકારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે મહેસાણા તાલુકાના આખજ ગામે 3 વર્ષ અગાઉ વ્યાજખોરોના ત્રાસથી યુવકે ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવી લીધું હતું. આ મામલે ગામના 12 વ્યક્તિઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
યુવકે ગામના કેટલાક વ્યક્તિઓ પાસેથી ઉછીના પૈસા લીધા હતા. જે પૈસાનું મૂડી કરતા વ્યાજ વધી ગયું હતું.
મહત્વનું છે કે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં વ્યાજખોરોએ માથું ઉંચક્યું છે, ત્યારે નાના મોટા વેપાર અને સામાજિક કારણોસર ચક્રવૃદ્ધિ વ્યાજના ફંદામાં ફસાદા લોકો માટે આત્મહત્યા અંતિમ પગલું બની રહે છે.
જોકે અગાઉ કાયદાકીય રીતે 500 રૂપિયા દંડની જોગવાઇ હતી. કોર્ટમાં વ્યાજખોરો ગુનો કબૂલીને બચી જતા હતા. પરંતુ ત્યારબાદ વર્ષ 2013માં રાજ્ય સરકાર દ્વારા 3 વર્ષની સજાની જોગવાઇ અમલમાં આવી હતી.