મહેસાણા: આશાબેન પટેલે કોંગ્રેસ અને ધારાસભ્યના પદપરથી રાજીનામુ આપ્યું છે. આશાબેનના રાજીનામા બાદ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આશાબેન પટેલના રાજીનામાનો વિવાદ હવે દિલ્હીમાં પહોંચ્યો છે. આ મામલે તમામ આરોપ પ્રદેશ મહામંત્રી કિર્તિસિંહ ઝાલા પર લાગ્યા છે.
આ મામલે મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ દિલ્હીમાં રજૂઆત કરવા માટે જશે. લાલજીભાઈ દેસાઈના માધ્યમથી મહેસાણા જિલ્લાના નેતાઓ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. આ દરમિયાન તેઓ રાહુલ ગાંધીને વાસ્તવિક સ્થિતિથી અવગત કરાવશે.
દિનેશ પટેલના નામની પણ થઇ હતી ચર્ચા
ઊંઝાના ધારાસભ્ય આશા પટેલે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધુ હતુ. જેને લઈને તેઓનું ભાજપમાં જોડાવા સહિતની અનેક અટકળો વહેતી થઈ હતી. ત્યારે મળતી માહિતી મુજબ દિનેશ પટેલને ઊંઝા APMCના ચેરમેન બનાવવા આશા પટેલે રાજીનામું ધર્યુ હોવાની વાત સામે આવી છે.
બિલ્ડર દિનેશ પટેલે આશાબેનને MLA બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. દિનેશ પટેલ ભાજપના પ્રદેશ મહામંત્રી કે.સી પટેલના વેવાઈ છે અને તેઓ ઊંઝા APMCના ચેરમેન બનવા માંગે છે. મહત્વનું છે કે ઉત્તર ગુજરાતના રાજકારણનો પાયો જ ઊંઝા APMC ગણાય છે અને આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય નારણભાઈ લલ્લુભાઈ પટેલનો રાજકીય દબદબો રહ્યો છે.
કોણ છે આશાબેન પટેલ..?
ગત વિધાનસભા ચૂંટણીમાં પાટીદારોના ગઢ ગણાતા મહેસાણાના ઉંઝામાંથી ભાજપના નારણભાઈ પટેલ સામે કોંગ્રેસે ડૉકટર આશાબહેનને મેદાને ઉતાર્યા હતા. અને તેઓની જીત થઈ હતી. જોકે હવે પાર્ટીમાં તેમની અવગણના થતી હોવાનુ સુત્રો કહી રહ્યા છે. અને તેઓ ભાજપનો ખેસ ધારણ કરે તેવી પણ શક્યતા છે.
જણાવી દઈએ કે નારણ પટેલનો દબદબો ઉંઝામાં 1997થી હતો. ભાજપનો એક સમયનો ગઢ હતો જેના કાંગરા ખેરવવાનું કામ આશા બહેને 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કર્યું હતું. એટલે કે કોંગ્રેસના તેઓ કદાવર નેતા હતા તેમાં બેમત નથી.આશાબેન પટેલ એ ઊંઝામાં કદાવર નેતા ગણાય છે. આ વર્ષે લોકસભાની સીટની પણ માગ કરી હતી. જેઓ લોકસભા લડે તેવી પણ સંભાવના હતી.
પાસના સમર્થક એવા ડો. આશાબેન પટેલ ઊંઝામાં ભાજપના કદાવર નેતાને હરાવીને જીત્યા હતા. ઊંઝા એ ભાજપનો ગઢ ગણાય છે પણ પાસ આંદોલન સમયે ડો. આશાબેનની જીત થઈ હતી. અહીં પાટીદારોનું વર્ચસ્વ છે. આશાબેન કદાચ હવે સાંસદ તરીકેની ચૂંટણી લડે તેવી સંભાવના છે. હાલમાં તેઓ ભાજપમાં જોડાવાની અફવાઓ ચાલી રહી છે.
મહેસાણામાં ભાજપ પાસે સક્ષમ ઉમેદવાર નથી. હાલમાં જયશ્રીબેનને ભાજપ ઘરભેગા કરે તેવી પૂરી સંભાવના છે. પાસનું આંદોલન મહેસાણામાં આજે પણ સક્રિય છે. પાસના સમર્થક એવા જયશ્રીબેનને ટીકિટ આપી ભાજપ મહેસાણા બેઠક કબજે કરવા માગતી હોવાના રાજકીય સૂત્રો જણાવી રહ્યાં છે.
મહેસાણાએ નીતિનભાઈનો ગઠ હોવા છતાં તેઓ પણ માંડ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. મહેસાણા લોકસભા બેઠક હારે તેવી સંભાવના વચ્ચે ભાજપે આ માસ્ટરસ્ટ્રોક માર્યો હોવાનું કહેવાય છે. જો આશાબેન ભાજપમાં જોડાશે તો તેઓ લોકસભાના ઉમેદવાર હશે એ નક્કી છે.