પાટીદાર આગેવાનો અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા અને મનોજ પનારાની હાજરીમાં બેઠક થઈ, જેમાં અનેક મુદ્દા પર આગળની રણનીતિ અંગે ચર્ચા થઈ
આંદોલનને કારણે સમાજના કેટલાય લોકોને નુકસાન થયું -કથિરીયા
31 ઓક્ટોબર સુધી અમે ચર્ચા માટે તૈયાર છીએ
અમારા નેતાઓ રાજકારણમાં નહીં જોડાય: અલ્પેશ કથીરિયા
વિવિધ માંગોને લઈ યોજાયેલી પાટીદાર આગેવાનોની બેઠક પૂર્ણ થઈ છે, જેમાં અનમાત આંદોલનના મોટા ચહેરાઑ અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા અને મનોજ પનારાએ પાટીદારો હવે કયા માંગ સાથે કયા પાટે જશે તે લઈને મોટું મથન થયું હતું બેઠક પૂર્ણ થતાંની સાથે જ પાટીદાર આગેવાનોએ સરકારને 31 ઓકટોબર સુધીનું અલ્ટિમેટમ આપી અનેક માંગો પૂર્ણ કરવા આંગળી ચીંધવામાં આવી છે.
પોલીસ કેસ પરત ખેંચવા
પાટીદાર અનામત આંદોલન ઉગ્ર બનતા ગુજરાતમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પેદા થઈ હતી. જે બાદ સરકારએ આંદોલનકારીઑ સામે અનેક કેસ કર્યા હતા. જેમાં હજુ પણ કોર્ટના ધક્કા પાટીદાર આગેવાનો ખાઈ રહ્યા છે. જેને લઈને પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ મોટું નિવેદન આપતા કહ્યું છે કે સરકારે ઘણા વચનો આપ્યા હતા, કેસ પાછા ખેંચવાની વાત હતી જે નથી ખેચાયા, પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલ પોલીસ કેસ પરત ખેંચવા એ અમારી પહેલી માંગ છે. સાથે જ 14 યુવાનો શહીદ થયા એમને નોકરીઓ આપવાની ખાતરી આપી હતી એ નથી અપાઇ, હજુ સુધી કેસો પરત ખેંચવા મામલે નિરાકરણ નથી આવ્યું .250 કેસ એવા છે જે સરકાર પરત ખેંચવાના હોય એ ખેંચ્યા જ નથી. ગુજરાતમાં 4 રાજદ્રોહના કેસ છે સરકારે પરત ના ખેંચી શકાય એમ કહેવામાં આવ્યું છે
અનામતની માંગ હજુ ઊભી છે
રાજ્ય સરકારને અનમાતમાં સામેલ કરવાની કમાન કેન્દ્ર દ્વારા સોંપાવા જઈ રહી છે ત્યારે પાટીદારોને અનામત મુદ્દે પણ અલ્પેશ કથીરિયા દ્વારા નિવેદન અપાયું હતું કે અમારા સમાજનો અનામતનો સર્વે થવો જોઈએ, બિન અનામત આયોગમાં ઘણી સમસ્યા ઉભી થાય છે, મહિલા અનામત 2018ના પરિપત્રની મળે એ માટે સરકારે કામ કરવું જોઈએ અને પાટીદાર સમાજની અનામતની માંગણીની સર્વેની અરજી બાબતેના કાર્યક્રમમાં કઈ રીતે યોજાશે તેને લઈને પણ બેઠકમાં ચર્ચા કરી હોવાની માંગણી કરી હતી.
31 ઓક્ટોબર સુધીનું સરકારને અલ્ટીમેટમ
ઘણી માંગો સાથે પાટીદાર આગેવાનોએ બેઠકમાં કરેલા નિર્ણય મુજબ 31 ઓક્ટોબર સુધીનું સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. સરકાર ચર્ચા કરવા માટે આમંત્રણ આપશે તો જઈશું તેવો મત પણ આપ્યો હતો જે બાદ આગામી દિવસોમાં સરકારને મળી રજૂઆત કરવા સુધીનું આયોજન પણ આગળના દિવસોમાં કરવામાં આવશે તેવુ એલાન અલ્પેશ કથીરિયાએ કયું હતું સાથે જ ગામ તાલુકા અને જિલ્લા લેવલે સામાજિક સંગઠન બાબતે અમે સરકારને આવેદન આપશે.
બિલ પાસ થતાં અનામતનો માર્ગ મોકળો બન્યો
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોક્ટર વિરેન્દ્ર કુમારે લોકસભામાં ઓબીસી સમૂદાયને અનામત આપતું બીલ રજૂ કર્યું હતું જે સર્વસંમતિથી પસાર થઈ ગયું હતું. જે બાદ રાજ્ય સભામાં પણ કોઈ વિરોધ વગર બિલ પાસ થયું હતું. વિપક્ષોએ પણ આ બીલને પૂરતો ટેકો આપતા સરકારનું કામ સરળ બન્યું હતું. આ બીલ પસાર થયુ હોવાથી હવેથી મહારાષ્ટ્રમાં મરાઠા સમૂદાય, ગુજરાતમાં પટેલ સમૂદાય, હરિયાણામાં જાટ સમૂદાય તથા કર્ણાટકના લિંગાયત સમૂદાયના ઓબીસી વર્ગમાં સામેલ થવાની આશા ફરી જીવંત થઈ છે. જો ગુજરાતની વાત કરીએ તો અનામત મુદ્દે ભૂતકાળમાં મોટા આંદોલન થયા હતા જે બાદ તેમને અન્ય કેટલીક સહાય કરવામાં આવી હતી પણ સંપૂર્ણ અનામતની માંગ ઊભીને ઊભી જ રહી હતી પણ આ બિલ જો પાસ થતાં પાટીદાર અનામતનો રસ્તો ચોખ્ખો દેખાઈ રહ્યો છે. જેથી પાટીદાર આગેવાનો ફરી અનામત માંગી રહ્યા છે સાથે ભૂતકાળમાં થયેલા કેસોને પરત લેવા માંગણી કરી રહ્યા છે.
કાયદામાં સુધારાથી શું ફરક પડશે?
આ બિલ પસાર થવાથી હવે રાજ્ય સરકારને અધિકાર રહેશે કે રાજ્ય તેના અનુસાર જાતિઓને સૂચિત કરી શકે. સંસદમાં બંધારણના આર્ટિકલ 342-A અને 366 (26) C ના સુધારાને મંજૂરી મળ્યા બાદ રાજ્યોને આ અધિકાર મળ્યો છે. આ અધિકારનો ઉપયોગ કરીને, મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય, ગુજરાતમાં પટેલ સમુદાય, હરિયાણામાં જાટ સમુદાય અને કર્ણાટકમાં લિંગાયત સમુદાયને ઓબીસી શ્રેણીમાં સમાવવાની તક મળી શકે છે. તે જાણીતું છે કે આ તમામ જાતિઓ લાંબા સમયથી અનામતની માંગણી કરી રહી છે, જો કે, સુપ્રીમ કોર્ટ તેમની માંગણીઓ પર સ્ટે મૂકી રહી છે. આ બિલ પસાર થતા હવે આ જાતિઓની માંગણીઓ પૂરી થઈ શકે છે.હકીકતમાં, રાજ્ય સરકારો પોતે OBC ની યાદી નક્કી કરે છે. જ્યારે કેન્દ્રીય સેવાઓ માટે, કેન્દ્ર અલગથી કરે છે. કોર્ટે 5 મેના બહુમતી આધારિત નિર્ણયની સમીક્ષા કરવાની કેન્દ્રની અરજી ફગાવી દીધી હતી, જેમાં 102 મો બંધારણીય સુધારો નોકરીઓ અને પ્રવેશમાં ફરક લાવશે.OBCનું લીસ્ટ બનાવવાનો અધિકાર રાજ્યોને મળતા કેટલીયે જ્ઞાતિઓનો OBCમાં સમાવેશ થશે.