મુંબઇઃ મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગને લઈને આજે મરાઠા ક્રાંતિ મોર્ચા દ્વારા મહારાષ્ટ્ર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ઔરંગાબાદમાં એક યુવકે ગોદાવરી નદીમાં ઝંપલાવતા યુવકના મોત બાદ આંદોલન હિંસક બન્યું છે.
મહારાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં બસ અને ગાડીઓમાં તોડફોડની ઘટના પણ સામે આવી છે. તો કોલ્હાપુર સાતારા સોલાપુર પૂણે અને મુંબઈમાં હાલ તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે. આ વચ્ચે મરાઠા સમુદાયની નારાજગી જોઈને ઔરંગબાદના DM ઉદય ચૌધરીએ મરાઠા ક્રાંતિ મોર્ચાની કેટલીક માગો સ્વીકારી છે.
DM ઉદય ચૌધરીએ જણાવ્યુ કે સરકારે મૃતક કાકાસાહેબ શિંડેના પરિવારને 10 લાખ રૂપિયાની સહાય અને સાથે જ તેના નાના ભાઈને સરકારી નોકરી આપવાનો નિર્ણય કર્યો છે. જો કે મરાઠા અનામતની માગ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી અનામતની માગ તેજ થઈ છે.
તો આંદોલનકારીઓએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની પણ માગ કરી છે. બીજી તરફ કોંગ્રેસે પણ દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે જણાવ્યું કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતે અનામત આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ આજે તેઓ પોતાના જ વાયદાથી ફરી રહ્યાં છે.