મલેશિયા સરકારે ભારતના વિવાદાસ્પદ ઇસ્લામિક ઉપદેશક અને ભાગેડુ જાકીર નાઇક સામે મોટી કાર્યવાહી કરી છે. મલેશિયા પોલીસે જાકીર નાઇક પર જાહેરમાં ભડકાઉ ભાષણો અને ઉપદેશ આપવા પર સમગ્ર દેશમાં પ્રતિબંધ મૂકી દીધો છે.
જાકીર નાઇક પર મલેશિયામાં લઘુમતી સમુદાય હિંદુઓ અને ચીનના લોકોની લાગણી દુભાવવાનો આરોપ છે. મલેશિયાના મેલકા રાજ્યમાં પણ જાકીર નાઇકનાં ભાષણો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આવું કરનાર તે દેશનું સાતમું રાજ્ય છે.
તાજેતરમાં જાકીર નાઇકે જણાવ્યું હતું કે મલેશિયામાં હિંદુઓને ભારતના મુસ્લિમોની તુલનાએ ૧૦૦ ગણા વધુ અધિકાર મળ્યા છે. મલેશિયાના વડા પ્રધાન મોહંમદ મહાતીર વિવાદિત ઉપદેશક અને મની લોન્ડરિંગ કેસમાં વોન્ટેડ જાકીર નાઇકને ભારતને નહીં સોંપવાની બાબતમાં અડગ રહેતાં હવે જાકીર નાઇક જ તેમના માટે માથાના દુઃખાવારૂપ બની ગયો છે.
જાકીર નાઇકે છેલ્લા કેટલાક સમયથી મલેશિયામાં રાજ્યાશ્રય લીધો છે. મલેશિયાની પોલીસે નિવેદન જારી કરીને જણાવ્યંુુ છે કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અખબાર મલય મેલના અહેવાલ અનુસાર સમગ્ર મલેશિયામાં જાકીર નાઇકનાં ભાષણો પર પ્રતિબંધ મૂકતો એક પરિપત્ર સમગ્ર દેશની પોલીસને જારી કરવામાં આવ્યો છે.
આમ હવે મલેશિયામાં પણ જાકીર નાઇકની મુશ્કેલીઓ વધી ગઇ છે. વડા પ્રધાન મહાતીરે એવું નિવેદન કર્યું છે કે જાકીર નાઇક કાનૂની દાવપેચનું શરણ લઇ રહ્યો છે એવું સાબિત થશે અને જો તેની પ્રવૃત્તિ મલેશિયા માટે નુકસાનકારક હશે તો તેનો પર્મેનેન્ટ રેસિડેન્ટનો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવશે.