વિરાટ કોહલીના નેતૃત્વમાં ફરી એક વાર ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે તેમની જ ધરતી પર પાંચ મેચની ટી-20 શ્રેણી રમવા માટે તૈયાર છે. આ શ્રેણીની પ્રથમ ટી-20 મેચ ઓકલેન્ડના ઇડન પાર્ક ખાતે આવતી કાલે ભારતીય સમય અનુસાર બપોરે 12.20 વાગ્યાથી શરૂ થશે.
ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે રમવા માટે તૈયાર
પ્રથમ ટી-20 મેચ ઓકલેન્ડના ઇડન પાર્ક ખાતે આવતી કાલે રમાશે
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં ચાર દ્વિપક્ષી ટી-20 શ્રેણી રમાઈ ચૂકી છે
ન્યૂઝીલેન્ડનો પ્રવાસ ટીમ ઇન્ડિયા માટે હંમેશાં પડકારજનક રહ્યો છે અને ન્યૂઝીલેન્ડની ધરતીપર જીત હાંસલ કરવી ભારતીય ટીમ માટે હંમેશાં મુશ્કેલ રહી છે. જોકે છેલ્લાં કેટલાંક વર્ષથી ન્યૂઝીલેન્ડની પરિસ્થિતિમાં ફેરફાર થયો છે અને પીચો પર રન બની રહ્યા છે. આનો અર્થ એ થયો કે ન્યૂઝીલેન્ડની પીચ પર ફક્ત બોલર્સ માટે જ નહીં, બેટ્સમેનો માટે પણ ઘણી બધી તક હોય છે અને ભારતીય બેટિંગ કેટલી મજબૂત છે એ કોઈને જણાવવાની જરૂર નથી.
ટીમ ઇન્ડિયા પાસે પાંચ મેચમાં જીત હાંસલ કરવાની શાનદાર તક
વર્તમાન પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયા પાસે પાંચ મેચની ટી-20 શ્રેણીમાં જીત હાંસલ કરવાની શાનદાર તક છે. ભારતના પક્ષમાં એક મજબૂત વાત એ છે કે ટીમ ઇન્ડિયામાં શાનદાર ફાસ્ટ બોલર્સ કમી નથી. સ્પષ્ટ છે કે જ્યારે ટીમમાં એક એકથી ચઢિયાતા બેટ્સમેન અને બોલર્સ હોય ત્યારે જીતની શક્યતાઓ આપોઆપ વધી જાય છે.
ન્યૂઝીલેન્ડની ધરતી પર ભારત એક પણ ટી-શ્રેણી જીતી શક્યું નથી
અત્યાર સુધીમાં ન્યૂઝીલેન્ડની ધરતી પર ભારત એક પણ ટી-શ્રેણી જીતી શક્યું નથી. ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડની ધરતી પર 16 સપ્ટેમ્બર, 2007ના રોજ પ્રથમ ટી-20 મેચ રમી હતી. ભારત ન્યૂઝીલેન્ડની ધરતી પર જે છ મેચ રમ્યું હતું તેમાંથી ફક્ત એક જ મેચ ટીમ ઇન્ડિયા જીતી શકી છે અને એ પણ ગત વર્ષે એટલે કે 2019માં. ન્યૂઝીલેન્ડની ધરતી પર ટી-20 શ્રેણી જીતવાનો ઇંતેજાર છેલ્લાં 12 વર્ષથી ટીમ ઇન્ડિયા કરી રહી છે.
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં ચાર દ્વિપક્ષી ટી-20 શ્રેણી રમાઈ ચૂકી છે
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં ચાર દ્વિપક્ષી ટી-20 શ્રેણી રમાઈ ચૂકી છે, જેમાં બંને દેશમાં બે-બે શ્રેણીનું આયોજન થયું હતું. ભારતને આ ચારમાંથી ફક્ત એક શ્રેણીમાં જીત હાંસલ થઈ છે. 2017માં ભારતે પોતાના ઘરઆંગણે ટી-20 શ્રેણી જીતી હતી.
ભારતની મજબૂતી
હાલમાં ભારતીય ટીમની બેટિંગમાં કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને કે. એલ. રાહુલ શાનદાર ફોર્મમાં રમી રહ્યા છે. ટીમ ઇન્ડિયાની આ મજબૂત વાત છે. ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી વન ડે શ્રેણીમાં વિરાટે 61 રનની સરેરાશથી 183 રન બનાવ્યા હતા, રોહિતે 57 રનનીસરેરાશથી 171 રન અને રાહુલે 48.66ની સરેરાશથી 146 રન બનાવ્યા હતા. આ ઉપરાંત શ્રેયસ ઐયર પણ જરૂર પડે ત્યારે ઝડપી રન બનાવવાની ક્ષમતા ધરાવે છે.
ભારતની નબળાઈ
ભારતીય સ્પિનર છેલ્લી કેટલીક શ્રેણીમાં સારું પ્રદર્શન કરી રહ્યા નથી. આ સ્પિનર રન પણ બહુ જ લૂંટાવી રહ્યા છે અને વિકેટ ઝડપવામાં પણ નિષ્ફળ રહે છે. છેલ્લી ત્રણ વન ડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમમાં રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવને તક મળી હતી, જેમાં બંનેએ મળીને ત્રણ મેચમાં માત્ર 7 વિકેટ જ ઝડપી હતી. આ સાત વિકેટ ઝડપવા માટે 58 ઓવરમાં 325 રન લૂંટાવી દીધા હતા.
હેડ ટુ હેડ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 11 ટી-20 મેચ રમાઈ છે, જેમાંથી ત્રણમાં ટીમ ઇન્ડિયાનો વિજય થયો છે, આઠ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.