ગુજરાતમાં હાલ કોરોનાકાળમાં માસ્કથી લઈને બહાર નીકળવા સુધીના નિયમો છે પણ કેટલીક ઈમરજન્સીમાં કેટલીક મુશ્કેલીઓમાં પોલીસનું કૂણુ વલણ અનિવાર્ય છે. અંબાજીમાં એક ઘટના ઘટી જેમાં ગર્ભવતી મહિલાની ગાડી રોકીને પોલીસકર્મીઓએ માસ્ક ન પહેર્યુ હોવા મુદ્દે રકઝક કરી હતી અને 1 કલાક જેટલી મહિલાને પરાણે બેસાડી રાખી હતી. જેને પરિણામે મહિલાનું બાળક ગર્ભમાંજ મૃત્યુ પામ્યુ હતુ. આ મામલે આખરે મહિલા આયોગે કસૂરવાર સામેપગલાની માંગ કરી છે.
અંબાજીમાં ગર્ભવતી મહિલા સાથે ઘર્ષણ મામલો
રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો.રાજુલા દેસાઈનું નિવેદન
બાળકનું ગર્ભમાં જ થયું મોત
અંબાજીમાં ગર્ભવતી મહિલા સાથે ઘર્ષણ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે કસૂરવારને કડક સજાની માગ કરી છે. અંબાજીમાં ગઇકાલે રાત્રે ગર્ભવતી મહિલાને પાલનપુર લઇ જતા દરમિયાન અંબાજી સર્કલ પર પોલીસકર્મીઓએ ગાડી રોકી અને દર્દીના સંબંધીઓએ માસ્ક ન પહેર્યું હોવાથી કાર્યવાહી કરી હતી.
આ દરમિયાન દર્દીના સંબંધીઓએ આજીજી કરી હતી કે તેઓ મુશ્કેલીમાં છે એટલે અમે મહિલાને હોસ્પિટલમાં દાખલ કરી અને પોલીસ સ્ટેશનમાં હાજર થઇ જઇશું. જો કે પોલીસે કાર્યવાહી કરવાના નામે એક કલાકથી વધુ સમય રોકી રાખ્યા હોવાના આરોપ દર્દીના પરિવારજન કરી રહ્યાં છે. અને આ દરમિયાન મહિલાની હાલત ખરાબ થઇ હતી.
બાળકનું ગર્ભમાં જ થયુ મોત
આ બાદ પરિવારે ઘણી આજીજી કરી જે બાદ તેમને છોડ્યા હતા અને પાલનપુર સિવિલ હૉસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં મહિલાની હાલત ગંભીર જણાતાં ડોક્ટરે પાટણ-ધારપુર મેડિકલ કોલેજ હૉસ્પિટલમાં મોકલ્યા. જ્યાં શિશુનું ગર્ભમાં જ મોત થયાનું જણાતા સિઝેરિયન કર્યું હતું.
મહિલા આયોગ આવ્યુ મેદાને
આ સમગ્ર ઘટનાના વીડિયો સામે આવતા રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો.રાજુલા દેસાઈનું નિવેદન સામે આવ્યું છે. મહિલા આયોગના રાજુલાબેન દેસાઇએ કહ્યું કે અમે બનાસકાંઠા એસપીને કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.