ભારે વરસાદને પગલે મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તાર પૂર પ્રભાવિત છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારે વરસાદને કારણે 150 ગામોનો સંપર્ક તુટી ગયો છે. એવામાં મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે પૂર પીડિતોની મદદ માટે એવો આદેશ કર્યો છે જેના કારણે તેમની આલોચના થઇ રહી છે.
ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના 150 ગામનો સંપર્ક તુટી ગયો છે. હાલત એટલી ખરાબ છે કે દર કલાકે મોતનો આંકડો વધતો જઇ રહ્યો છે. એવામાં મહારાષ્ટ્ર સરકારે આદેશ આપ્યો છે કે આર્થિક સહાયતા માત્ર એ લોકોને આપવામાં આવશે જેમના ક્ષેત્રમાં બે દિવસ અથવા બે દિવસથી વધારે દિવસો સુધી પાણી ભરાયેલું હશે. હવે આ આદેશ બાદ વિપક્ષ સતત સરકાર પર નિશાન સાધી રહ્યું છે.
આ આદેશ હેઠળ આર્થિક સહાયતા એ વ્યક્તિને આપવામાં આવશે જેના ઘરમાં બે દિવસથી વધારે સમય સુધી પાણી ભરાયું હોય અથવા ઘર તણાઇ ગયું હોય. આદેશ અનુસાર તમે શહેરમાં રહો છો તો પ્રતિ પરિવાર સહાય કપડા માટે 7500 રૂપિયા રહેશે અને ઘરેલૂ સામાન માટે પણ એટલી જ રકમ આપવામાં આવશે.
જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં કપડાને લઇને 5000 અને ઘરેલૂ સામાન માટે પણ એટલી જ રકમ આપવામાં આવશે. જો ક્ષેત્ર બે દિવસથી પાણીમાં ડૂબેલું છે તો ત્યાં રહેતા પ્રત્યેક પરિવારને 10 કિલો ચોખા અને 10 કિલો ઘંઉ આપવામા આવશે. હવે આ આદેશ બાદ સરકારનો મજાક ઉડાવાઇ રહ્યો છે. વિપક્ષનું એવું કહેવું છે કે શું પૂર પ્રભાવિત લોકોએ 10 કિલો ચોખા અને ઘઉં મેળવવા માટે બે દિવસ સુધી પાણીમાં રહેવું પડશે.
આ દરમિયાન મહારાષ્ટ્રના જળ સંસાધન મંત્રી ગિરીશ મહાજનનો એક સેલ્ફી વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં તે રાહત દળની ટીમ સાથે બોટમાં બેઠા વીડિયો બનાવી રહ્યા છે. લોકોએ તેના પર નારાજગી દર્શાવી છે.