મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે. પીએમ મોદી મહારાષ્ટ્રમાં તાબડતોબ સભાઓ પર સભાઓ સંબોધી રહ્યા છે. જો કે તેમના ભાષણમાં વિકાસની વાતો કરતાં વિપક્ષો પર પ્રહાર વધારે જોવા મળી રહ્યા છે. પીએમની આજે સતારામાં ચૂંટણી સભા હતી. જેમા તેમણે કોંગ્રેસ અને એનસીપી પર આકરા પ્રહારો કર્યા.
મહારાષ્ટ્ર વિધાનસભાનો ચૂંટણીપ્રચાર પૂરજોશમાં
PM મોદી મહારાષ્ટ્રમાં તાબડતોબ સભાઓ સંબોધી રહ્યા છે
PM મોદીના ભાષણમાં વિકાસની વાતો કરતાં વિપક્ષો પર પ્રહાર વધારે
હાલ મહારાષ્ટ્ર વિધાનસભાનો ચૂંટણીપ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. જો કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આ વખતે માત્ર નેતાઓ બોલી રહ્યા છે અને મતદાતાઓ ખામોશ છે. તેમની આ ખામોશી કેવું પરિણામ આપશે તે તો ચૂંટણીના પરિણામો બાદ ખબર પડશે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન વાળી દેવેદ્ર ફડણવીસ સરકારના પાંચ વર્ષના રાજમાં ક્યારેક દલિતોનો ગુસ્સો તો ક્યારેક ખેડૂતોનો અસંતોષ તો ક્યારેક અર્થતંત્રની નરમ હાલત આ બધા મુદ્દાઓએ ભાજપ અને શિવસેના ગઠબંધન સરકારને જનતાની અદાલતના કઠેરામાં ઊભા કર્યા હતા. પરંતુ તે પાંચ વર્ષ વીતી ગયા હવે ચૂંટણીમાં નેતાઓ એ વાતો ભૂલાવીને જનતાને સતારાનું ગૌરવ યાદ અપાવી રહ્યા છે અને રાફેલ આગળ ધરીને વિપક્ષ પર હુમલા કરી રહ્યા છે.
ભાજપના મજબૂત ચૂંટણી પ્રચાર, અને વિપક્ષ પર આકરા હુમલા સામે કોંગ્રેસ અને એનસીપી સમર્થક મહારાષ્ટ્રના લોકો એવું ઈચ્છી રહ્યા છે કે, વિપક્ષે પણ એવા મુદ્દા ઉઠાવવા જોઈએ જે ભાજપા અને શિવસેનાના ગઠબંધન સામે સવાલ કરતા હોય. પરંતુ કોંગ્રેસ અને એનસીપી નેતાની નિશ્ક્રિયતાને જોઈને મહારાષ્ટ્રના લોકો મનમાં સવાલ કરી રહ્યા છે કે, એવી શું મજબૂરી છે કે, એનસીપી અને કોંગ્રેસ જોરપૂર્વક જનહિતના મુદ્દા સ્થાનિક સ્તરે કે રાજ્યસ્તર ઉઠાવી શકતી નથી. ઉલટાનું ભાજપ કોંગ્રેસ પર એ રીતે દોષારોપણ કરી રહી છે જાણે કોંગ્રેસ સત્તામાં હોય અને ભાજપ વિરોધપક્ષમાં હોય.
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના હાલ પ્રચારમાં કોંગ્રેસ પર હાવી થઈ રહી છે તેનું મુખ્ય કારણ એ છે કે, હવે ભાજપ શિવસેનાના ગઠબંધન સામે કોંગ્રેસ અને એનસીપી પાસે નેતા જ બચ્યા નથી. એનસીપીનું સુકાન સંભાળી રહેલા 80 વર્ષના શરદ પવાર ભલે દિગ્ગજ મરાઠા નેતા રહ્યા પરંતુ હવે તેમનો એ પ્રભાવ અને જુસ્સો નથી દેખાતો જે આજથી 10 વર્ષ પહેલા જોવા મળતો હતો. એનો લાભ ભાજપ અને શિવસેના મળી રહ્યો છે. એટલે ભાજપ વિધાનસભા ચૂંટણીમાં વિકાસની વાતો કરવાના બદલે મહારાષ્ટ્રીયનના ગૌરવ અને કલમ 370 નાબૂદી તથા સાવરકરના અપમાનને આગળ ધરી જનતાને પોતાના તરફ વાળવા પ્રયાસ કરી રહ્યા છે.
મહારાષ્ટ્રના રણસંગ્રામમાં હાલ તો ભાજપનું પલ્લું વધારે ભારે દેખાઈ રહ્યું છે. કેમ કે અહીં કોંગ્રેસ અને એનસીપી વેરવિખેર નજરે પડી રહી છે. કોંગ્રેસ પાસે અહીં રાજ્યસ્તરનો નેતા નથી તો રાષ્ટ્રવાદી કોંગ્રેસનું નેતૃત્વ હવે ઉંમરોનો શિકાર થઈ ગયું છે. એટલે જ તો લોકો કહી રહ્યા છે કે, વિલાસરાવ દેશમુખના નિધન બાદ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ નેતા વિહીન થઈ ગઈ છે. જેનો ફરી એક વખત લાભ ભાજપ-શિવસેના ગઠબંધનને મળે તે શક્યતા સાવ પાયાવિહોણી તો નથી.