LRD ભરતીમાં અનામત વિવાદ મામલે 2018ના ઠરાવને લઇ સરકારમાં મુંઝવણમાં મુકાઇ છે. આ મામલે મુખ્યમંત્રીના કાર્યાલયે શુક્રવારે બેઠક મળી હતી. આ બેઠક મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથન અને LRD ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય સાથે યોજાઈ હતી. આ બેઠકમાં ગૃહ સચિવ બ્રિજેશ કુમાર ઝા પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે હવે આ મામલે સરકાર વચગાળાનું સમાધાન કરી શકે છે.
સરકારની ફોર્મ્યુલા સેટ
આવતીકાલે થઈ શકે છે મોટી જાહેરાત
બાકી અનામત બિન અનામતની ફાઇટ છે!
2018ના પરિપત્રને લઇને કાલે સરકાર મગનું નામ મરી પાડે તેવી શક્યતા છે. બેઠકોના દોર બાદ પણ વિવાદનો કોઇ ઉકેલ ન આવતા સરકાર વચગાળાના સમાધાન તરફ આગળ વધી શકે છે. વિવાદના અંતની ફોર્મ્યુલા રાજ્ય સરકારે તૈયાર કરી લીધી છે. જોકે સરકાર પાસે ફોર્મ્યુલા તૈયાર છે પરંતુ કાયદાકીયફાંસ પણ છે.
ત્યારે શું છે સરકારની ફોર્મ્યુલા?
સરકાર વચગાળાનું સમધાનથી આગળ વધી શકે છે. એટલું જ નહીં સરકાર LRD ભરતીની બેઠકોમાં વધારો કરી શકે છે. અનામત વર્ગની મહિલાઓ માટે સ્પેશિયલ બેઠક ફાળવી શકે છે તેવી પણ ચર્ચા છે. પરંતુ બિન અનામત વર્ગની મહિલાની ભરતી રદ્દ નહીં થાય.
મહત્વનું છે કે અસમંજસની સ્થિતિમાં મુકાયેલી રાજ્ય સરકારમાં બેઠકોનો દોર જોવા મળ્યો. બે વખત થયેલી બેઠક બાદ હવે આ મામલે વધુ એક મુદત પડી છે અને આવતીકાલે(શનિવાર) આ મુદ્દે કોઇ મહત્વની જાહેરાત કરાઇ તેવી શક્યતા છે.
ભાજપના નેતાઓ સરકાર સામે પડ્યાં
અનામત માટે આંદોલન મામલે અલ્પેશ ઠાકોર અને સાંસદ ભરતસિંહ ડાભી CM મળવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. અનામત મુદ્દે ચાલી રહેલા વિવાદ અંગે ચર્ચા કરવા પહોંચ્યા હતા. તો કુંવરજી બાવળીયાએ પણ આ આંદોલનને સમર્થન આપ્યું હતું. ત્યારે બીજી તરફ બિન અનામત આંદોલનને પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલે સમર્થન કર્યું છે.
વિપક્ષના સરકાર પર પ્રહાર
અનામત અને બિન અનામત વર્ગની અનામતની મડાગાંઠ હજુ ઉકેલાઈ નથી. તેવામાં રાજકારણ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. ભાજપ અને કૉંગ્રેસ સામસામે આક્ષેપબાજી કરવામાં લાગી ગયા છે. કોંગ્રેસે આંદોલનકારીઓને સમર્થન આપવાની વાત સાથે પરિપત્ર રદ કરવાની માંગ કરી છે. કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકારને અનામત વિરોધી ગણાવીને નિશાન સાધ્યું છે. કૉંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે ભાજપનો એજન્ડા SC, ST, OBC વર્ગની અનામત ખતમ કરવાનો છે. તો પરેશ ધાનાણીએ કહ્યું કે મોંઘવારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા માટે સરકાર વિવિધ સમાજો વચ્ચે વર્ગ-વિગ્રહનો માર્ગ અપનાવી રહી છે. જ્યારે અમિત ચાવડાએ નીતિન પટેલ પર પ્રહાર કરતાં કહ્યું કે નીતિનભાઈ વિજયભાઈને પૂછીને નિવેદન કરે છે અથવા નીતિનભાઈ વિજયભાઈને ડિસ્ડર્બ કરે છે.