નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ લોકસભાની ચૂંટણી લડે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે તાજેતરમાં જ આ મામલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, "નીતિન પટેલનાં નામે ચાલી રહેલી ચર્ચાઓ ખોટી છે. નીતિન પટેલ લોકસભાની ચૂંટણી લડવાનાં નથી."
મહત્વનું છે કે મહેસાણાની બેઠક પરથી ડે.સીએમ નીતિન પટેલની લોકસભાની ચૂંટણી લડવા અંગે છેલ્લાં કેટલાંક દિવસોથી અટકળો ચાલી રહી હતી. ત્યારે એવામાં આખરે સીએમ વિજયભાઇ રૂપાણીએ આ અટકળનો અંત લાવી દીધો છે. તેમજ નીતિન પટેલ અંગે નિવેદન આપતા જણાવ્યું કે, તેઓ ચૂંટણી નથી લડવાનાં.
ઉલ્લેખનીય છે કે મહેસાણા બેઠક પર ઉમેદવાર મામલે કમલમમાં ભાજપનું મંથન ચાલી રહ્યું હતું. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રભારી ઓમ માથૂર સાથે ચર્ચા પણ કરી હતી. ભાજપનાં ઉમેદવારની જાહેરાત મામલે નીતિન પટેલે જણાવ્યું હતું કે, "ઉમેદવારો મુદ્દે કોઈ કોકડું ગૂંચવાયું નથી. ભાજપનાં બધાં જ ઉમેદવારનાં નામ જાહેર કરવામાં આવશે. જ્યારે આશાબેન મામલે કોઈ ચર્ચા ન થઈ હોવાનું જણાવ્યું."
જાણો લોકસભાની ચૂંટણી લડવા અંગે નીતિન પટેલે શું કહ્યું હતું?
આ સાથે જ લોકસભાની ચૂંટણી લડવા અંગે જણાવ્યું હતું કે, 'હું નારાજ નથી. અમે લોકોને મનાવીએ છીએ. ચૂંટણી આવે ત્યારે આ સ્થિતિ સર્જાતી હોય છે. પાર્ટી જે કોઈ ચહેરાને ટિકિટ આપશે તે નેતા ચૂંટણી લડશે. હાલમાં કોઇ ચર્ચાઓ ચાલી રહી નથી.'