રાજ્યમાં મનપા-સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે ચૂંટણી જાહેર થતા જ રાજકીય પ્રતિક્રિયાઓ આવી રહી છે. જાણો ભાજપ-કોંગ્રેસે શું આપી પ્રથમ પ્રતિક્રિયા...
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેરાત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા રાજકીય પ્રતિક્રિયા
ચૂંટણી પંચ પર કોંગ્રેસ નેતાઓ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો
ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખોનું એલાન કર્યું છે ત્યારે ગુજરાતમાં 21 ફેબ્રુઆરીએ 6 મનપામાં અને 28 ફેબ્રુઆરીએ જિલ્લા, તાલુકા અને નપામાં મતદાન થશે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. 23 ફેબ્રુઆરી મનપાના ચૂંટણી પરિણામો જાહેર થશે. 5 માર્ચે જિલ્લા, તાલુકા પંચાયત, ન.પાના પરિણામો જાહેર થશે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યા છે. તેવામાં કોંગ્રેસ દ્વારા ચૂંટણીપંચના ચૂંટણી પરિણામોની તારીખ અલગ અલગના એલાન પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. કોંગ્રેસે કોર્ટમાં જવાનો સૂર આલાપ્યો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતા જ રાજકીય પક્ષો મેદાનમાં આવ્યા છે. ચૂંટણી પંચ પર કોંગ્રેસ નેતાઓ દ્વારા વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે વાંધો ઉઠાવતા કહ્યું કે, એક વોર્ડ એક બેઠકની પીટીશન પેન્ડીગ છે. રાજ્ય ચૂંટણીપંચે ન્યાયિક પ્રક્રિયા સામે હુમલો કર્યો છે. જજમેન્ટ પહેલા ચૂંટણી જાહેર કરીને બંધારણનો ભંગ કર્યો છે. અમે સોમવારે સુપ્રીમ કોર્ટમાં જઈશું.
અલગ અલગ કરીને ચૂંટણી પંચના એલનાને અમે કોર્ટમાં ચેલેન્જ કરીશુંઃ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા
તો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તૈયાર છીએ. અમારા કાર્યકર્તા જીતના બુલંદ હોંસલા સાથે જનતાના આશીર્વાદ માટે જઇશું. 2015ના કોર્ટના આદેશો છતા ભાજપના દબાણમાં મતગણતરીની તારીખ અલગ અલગ કરીને ચૂંટણી પંચના એલનાને અમે કોર્ટમાં ચેલેન્જ કરીશું.
અલગ અલગ પરિણામોના બદલે એક દિવસે જ પરિણામો આવવા જોઇએઃ કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેરાત અંગે કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહે કહ્યું કે, કોંગ્રેસે નિરીક્ષકો મૂકી અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. 5 વર્ષમાં ભાજપની નિષ્ફળતાથી પ્રજા ત્રસ્ત છે. કોંગ્રેસ સ્થાનિક મુદ્દાઓ લઈને પ્રજા વચ્ચે જશે. તમામ જગ્યા પર ભાજપે 100-150 ટકા ટેક્સમાં વધારો કર્યો છે. કોંગ્રેસનું મહાજનસંપર્ક ચાલી રહ્યું જ છે. સાથે જાહેર થયેલ ચૂંટણીના પરિણામો સાથે જ થવા જોઈએ. અલગ અલગ પરિણામોના બદલે એક દિવસે જ પરિણામો આવવા જોઇએ. ચૂંટણી પંચ સુધારો નહીં કરે તો કોંગ્રેસ કાયદાકીય લડત લડશે.
ગઇ વખતે ભાજપે ગુમાવેલી બેઠકો પર આ વખતે જીત થશેઃ DyCM નીતિન પટેલ
ચૂંટણીના એલાન બાદ પ્રથમ પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, અમે ચૂંટણી માટે તૈયારી છીએ. ગઇ વખતે ભાજપે ગુમાવેલી બેઠકો પર આ વખતે જીત થશે. ગુજરાતની જનતાએ પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ પર વિશ્વાસ કરી 26 બેઠકો આપી હતી. ગુજરાતમાં ભાજપે તમામ 26 લોકસભા બેઠકો જીતી હતી.
હવે ભાજપ પર જનતાનો ભરોસો નથી રહ્યો: કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ
કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે, 2015ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામોનું પુનરાવર્તન કરીશું. કોંગ્રેસ મોટી માત્રમાં વોટોથી જીતશે. ભાજપ સરકારના ભ્રષ્ટ શાસને અર્થવ્યવસ્થા અને વિકાસને બરબાદ કરી દીધો છે. હવે ભાજપ પર જનતાનો ભરોસો નથી રહ્યો. આનાથી સ્પષ્ટ છે કે, આવનારી ચૂંટણીમાં જનતા આનો સ્વીકાર નહીં કરે.
ચૂંટણીમાં ભાજપ ભવ્ય વિજય મેળવશે: ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટિલ
તારીખોના એલાન બાદ CR પાટિલનું પહેલું નિવેદન સામે આવ્યું છે. પાટિલે કહ્યું કે, ભાજપના કાર્યકરો ચૂંટણી માટે તૈયાર છે. આવતીકાલથી નિરીક્ષકો તેમની કામગીરી શરૂ કરશે. ચૂંટણીમાં ભાજપ ભવ્ય વિજય મેળવશે.
પાલિકા અને પંચાયતમાં કેસરીયો છવાશેઃ ભાજપ નેતા ધનસુખ ભંડેરી
ભાજપ નેતા ધનસુખ ભંડેરીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 8 બેઠકોની વિધાનસભાની પેટા ચૂંટણીની ભવ્ય જીત થઇ હતી. ત્યારે હવે પાલિકા અને પંચાયતમાં કેસરીયો છવાશે.
અગાઉ ન મળી હોય એનાથી વધારે સીટો મળશેઃ ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસ
રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી જાહેર થતા ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું કે, કોરોના કહેર વચ્ચે ભાજપે લોકોને મદદ કરી છે. અગાઉ ન મળી હોય એનાથી વધારે સીટો મળશે. AIMIM અંગે તેમણે કહ્યું કે, કોઈપણ પક્ષ આવે તેને અમે આવકારીએ છીએ. અમને વિશ્વાસ છે જનતા પર. બીજી પાર્ટીઓ જનતાને ભડકાવે છે. ખેડૂતોના હિતમાં અમે ઘણા કામ કર્યા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજ્યમાં આચારસંહિતા લાગૂ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજ્યમાં આચારસંહિતા લાગૂ કરી દેવામાં આવી છે. મનપાની ચૂંટણીનુ જાહેરનામુ એક ફ્રેબુઆરીથી પ્રસિદ્ધ થશે. જિલ્લા, તા.પંચાયતો, નપાનું જાહેરનામુ 8 ફેબ્રુઆરીએ જાહેર થશે. મનપામાં ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી છે. જિલ્લા, તા.પંચાયતો, ન.પામાં 13 ફેબ્રુઆરી ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ છે. મનપાની ઉમેદવારી ફોર્મ ચકાસણી 8 ફેબ્રુઆરીએ થશે. જિલ્લા, તા.પંચાયતો, નપાની ઉમેદવારી ફોર્મ ચકાસણી 15 ફેબ્રુઆરીએ થશે. મનપામાં 9 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્ર પાછા ખેંચી શકાશે. જિલ્લા, તા.પંચાયતો, નપામા 16 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં EVM મશીનથી મતદાન થશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોવિડની ગાઈડલાઈનનું અમલ થશે.